શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈસ્થિત શિવસેના ભવન માત્ર પક્ષનું હેડ ક્વૉર્ટર જ નહીં, મહારાષ્ટ્રની ઓળખનું પ્રતીક છે અને કોઈએ એના પર ખરાબ નજર નાખવાની હિંમત ન કરવી જોઈએ.
સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈસ્થિત શિવસેના ભવન માત્ર પક્ષનું હેડ ક્વૉર્ટર જ નહીં, મહારાષ્ટ્રની ઓળખનું પ્રતીક છે અને કોઈએ એના પર ખરાબ નજર નાખવાની હિંમત ન કરવી જોઈએ.
અયોધ્યામાં જમીનસોદાના વિવાદ અંગે સેનાના મુખપત્ર ‘સામના’માં વાંધાજનક ટિપ્પણી કરાતાં ભાજપની યુવા પાંખે વિરોધ કર્યા બાદ બુધવારે દાદર ખાતેના શિવસેના ભવનની બહાર શિવસેના અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું એના એક દિવસ પછી રાઉતે નિવેદન આપ્યું હતું. શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકરે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોને માહિતી મળી હતી કે બીજેપીના કાર્યકરો સેના ભવનમાં તોડફોડ કરવા માટે આવી રહ્યા છે.
ADVERTISEMENT
પત્રકારો સાથે વાતચીત કરતાં રાઉતે સવાલ કર્યો હતો કે જો કોઈ પરિસર પર હુમલાનો પ્રયાસ કરશે તો શું મરાઠી માણૂસ અને શિવસૈનિક ચૂપ બેસી રહેશે? રાઉતે વધુમાં જણાવ્યું હતું કે ‘બીજેપી આટલી ઉશ્કેરાઈ શા માટે જાય છે? સેનાના તંત્રીલેખમાં શું કહ્યું હતું? એમાં કેવળ આક્ષેપો અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી અને માગણી કરવામાં આવી હતી કે જો આરોપો ખોટા પુરવાર થાય તો આક્ષેપ કરનારને સજા થવી જોઈએ. શું આ દેશમાં સ્પષ્ટતા કરવાનું જણાવવું અપરાધ છે? શું તમે લખી-વાંચી શકતા નથી? પહેલાં આરોપો શું છે અને શિવસેનાના પ્રવક્તાઓએ શું કહ્યું છે એ સમજો. તમે ભણેલા છો કે નહીં?’
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સ્વાયત્ત સંસ્થા છે અને એમાં ભાજપની શું ભૂમિકા હોય એવો રાઉતે પ્રશ્ન કર્યો હતો. રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘અમારા પક્ષે આ મામલા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તેમને ગઈ કાલે ‘શિવપ્રસાદ’ મળી ગયો છે. સ્થિતિને એ સ્તરે ન પહોંચાડશો કે અમારે તેમને શિવભોજન થાળી આપવી પડે. સેના ભવન અમારા માનનું પ્રતીક છે. જ્યારે પણ લોકો એના પર હુમલો કરશે ત્યારે અમે સત્તા પર હોઈએ કે ન હોઈએ, પણ આ જ રીતે જવાબ આપીશું.’