પૂજા ચવાણ કેસમાં સંજય રાઠોડનું આખરે રાજીનામું
ફાઈલ તસવીર
પૂજા ચવાણ કેસમાં સંડોવાયેલા રાજ્યના વનપ્રધાન સંજય રાઠોડે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર જઈને તેમની સાથે મુલાકાત કરી હતી અને આખરે તેમનું રાજીનામું આપ્યું હતું. જોકે તેમણે એવી વિનંતી કરી હતી કે તેમની સામે પૂજા ચવાણ કેસમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એ રાજીનામું સ્વીકારવું નહીં. વિધાનસભાનું બજેટ અધિવેશન ચાલુ થઈ રહ્યું છે ત્યારે ભાજપે આ સંદર્ભે બહુ જ આક્રમક બનીને કહ્યું હતું કે સંજય રાઠોડનું રાજીનામું નહીં લેવાય તો વિધાનસભાનું સત્ર ચાલવા નહીં દઈએ. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બે દિવસ પહેલાં જ સંજય રાઠોડને આ બાબતે નિર્ણય લેવાનું જણાવી દીધું હતું.
ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાન્ત પાટીલે પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘સંજય રાઠોડે ભલે રાજીનામું આપ્યું, પણ પૂજા ચવાણને ન્યાય મળવો જોઈએ. એથી સંજય રાઠોડની ધરપકડ કરો.’