સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યના ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં આવેલી મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની તૈયારી આરંભી દીધી છે.
બીએમસી ઓફિસ
મુંબઈ ઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યના ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં આવેલી મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની તૈયારી આરંભી દીધી છે. બીએમસીની પ્રભાગ રચના જાહેર કરાયા બાદ હવે આરક્ષણ ૧૩ જૂને જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી પંચે બીએમસીમાં રાજકીય ઓબીસી આરક્ષણ આપવા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ મુજબ ૨૭ મેએ આરક્ષણની નોટિસ જાહેર કરાશે. બેઠકો નક્કી કરવા માટેની જાહેરાત ૩૧ મેએ અને પ્રભાગના આરક્ષણની જાહેરાત ૧ જૂને થશે. આરક્ષણ બાબતના વાંધા અને સૂચના ૧થી ૬ જૂન સુધીમાં સ્વીકારાશે અને ૧૩ જૂને આરક્ષણ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, પુણે, રિંપરી-ચીંચવડ, કોલ્હાપુર સહિતનાં ૧૫ મહાનગરપાલિકા ક્ષેત્રમાં રાજકીય ઓબીસી આરક્ષણ જાહેર કરવામાં કાર્યક્રમ જારી કર્યો છે.
જોકે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસી વસતિગણતરીની ત્રણ સ્તરની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ચૂંટણી યોજવાનું મુશ્કેલ હોવાથી આ ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ વિના હાથ ધરવામાં આવશે.