મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર વતી કોર્ટમાં આવી રજૂઆત કર્યા બાદ સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ ન કરવાના નિર્દેશ આપવાની સાથે તપાસમાં સહયોગ આપવાનું કહ્યું
૪૮ કલાકમાં જ સીબીઆઇ સમક્ષ હાજર થવા તૈયાર છે પરમબીર સિંહ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ કર્યા બાદ ગુમ થઈ ગયેલા પરમબીર સિંહને ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. સર્વોચ્ચ અદાલતે પરમબીર સિંહની ધરપકડ ન કરવાના નિર્દેશ આપવાની સાથે તેમને તપાસમાં સહયોગ આપવાના નિર્દેશ ગઈ કાલે આપ્યા હતા. પરમબીર સિંહના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેઓ દેશમાં જ છે અને ૪૮ કલાકમાં સીબીઆઇ સમક્ષ હાજર થવા તૈયાર છે.
ધરપકડ સામે રક્ષણ મેળવવા માટેની અરજીની થોડા દિવસ પહેલાંની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલાં પરમબીર સિંહ એ કહે કે તેઓ ક્યાં છે. એ પછી જ તેમની અરજી પર સુનાવણી થશે. મુંબઈની એક અદાલતે પરમબીર સિંહને ભાગેડુ જાહેર કર્યા છે, કારણ કે વારંવાર સમન્સ મોકલ્યા બાદ પણ તેઓ તપાસ સમિતિ સમક્ષ હાજર નથી થઈ રહ્યા. તેમણે રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ કર્યો હોવાથી મુંબઈ પોલીસ તેમની પૂછપરછ કરવા માગે છે.
સુપ્રીમ કોર્ટમાં પરમબીર સિંહે કરેલી અરજીની સુનાવણી દરમ્યાન તેમના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે ‘તેઓ ફરાર નથી, ભારતમાં જ છે. તેઓ ફરાર થવા નથી માગતા અને ક્યાંય ભાગી જવા નથી માગતા. તેમને જીવનું જોખમ છે. તેઓ મહારાષ્ટ્રમાં પગ મૂકશે ત્યારે તેમણે મુંબઈ પોલીસના ખતરાનો સામનો કરવો પડશે. તેમણે ખંડણીના ચાર કેસનો સામનો કરવો પડશે.’
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ એમ. એમ. સુંદરેશની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે તેમણે મહારાષ્ટ્ર સરકાર, રાજ્યના પોલીસવડા સંજય પાંડે અને સીબીઆઇને નોટિસ મોકલી હતી.
ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહ રજા પર ઊતર્યા હતા એના બે મહિના પછી મહારાષ્ટ્ર પોલીસે તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. તેમની સામે વિવિધ આઇપીસીની કલમ અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. તેમની સામે ઍન્ટિ કરપ્શન બ્યુરોમાં બે કેસ છે. ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ૨૩ જુલાઈએ પરમબીર સિંહ, સચિન વઝે અને અન્ય કેટલાક સામે એફઆઇઆર નોંધવામાં આવ્યા હતા, જેની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.