Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખંડણીના ક્લેક્શનમાંથી ૭૫ ટકા પરમબીર સિંહ અને ૨૫ ટકા સચિન વઝે રાખતા હતા?

ખંડણીના ક્લેક્શનમાંથી ૭૫ ટકા પરમબીર સિંહ અને ૨૫ ટકા સચિન વઝે રાખતા હતા?

07 December, 2021 02:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ૧૮૯૫ પાનાંની ચાર્જશીટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહના સમયમાં મુંબઈમાં ખંડણી વસૂલાતી હતી એમાંથી ૭૫ ટકા પરમબીર સિંહને અને ૨૫ ટકા સચિન વઝેને ફાળવાતા હોવાનો ખુલાસો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૧ દ્વારા શનિવારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં થયો છે. ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ૧૮૯૫ પાનાંની ચાર્જશીટમાં પરમબીર સિંહને મુખ્ય આરોપી અને એસીપી, પોલીસ-ઇન્સ્પેક્ટર તથા કૉન્સ્ટેબલ સહિત કુલ ૩૬ સાક્ષીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા મુખ્યત્વે ક્રિકેટના બુકીઓ અને હોટેલમાલિકો પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૧ દ્વારા ખંડણીના આ મામલામાં સાક્ષીઓનાં લેવામાં આવેલાં નિવેદનમાં જણાઈ આવ્યું છે કે પરમબીર સિંહ અને બે પોલીસ-ઑફિસર સહિત કેટલાક લોકો દ્વારા મુંબઈમાં બાર અને હોટેલમાલિકો ઉપરાંત ક્રિકેટના બુકીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હતી. રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સચિન વઝેએ ઈડીમાં નોંધાવેલા નિવેદનમાં ખંડણી વસૂલવાના મામલામાં પરમબીર સિંહ સૌથી મોટો હિસ્સો લેતા હતા.
ક્રાસમ બ્રાન્ચની તપાસમાં જણાયું હતું કે સચિન વઝેએ ઑગસ્ટ અને ડિસેમ્બર ૨૦૨૦માં બુકીઓ અને બારમાલિકો સાથે મીટિંગ કરી હતી. પહેલી બેઠક ક્રાઇમ બ્રાન્ચના કાંદિવલીમાં આવેલા યુનિટ-૧૧ની ઑફિસમાં મળી હતી. આ યુનિટે સચિન વઝે અને બીજા આરોપીઓની ધરપકડ કરી હતી. 
ચાર્જશીટ મુજબ નારાયણ મુંદડા નામના સાક્ષીએ દાવો કર્યો છે કે ઑગસ્ટમાં થયેલી બેઠકમાં સચિન વઝેએ કહ્યું હતું કે મારા પર કમિશનર પરમબીર સિંહનું ખૂબ પ્રેશર છે. બુકીઓ અને હોટેલ-બારના માલિકો પાસેથી વસૂલવામાં આવતી ખંડણીની રકમના ૭૫ ટકા પરમબીર સિંહને અને ૨૫ ટકા પોતાને મળે છે.
ચાર્જશીટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે સચિન વઝે અને પરમબીર સિંહ નજીક હોવાથી ખંડણી વસૂલવા માટેનું કામ પોલીસ-કૉન્સ્ટેબલને સોંપવામાં આવ્યું હતું. રાજુ માને નામના એ કૉન્સ્ટેબલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઉપરી અધિકારીઓના આદેશનું મારે પાલન કરવું પડતું હતું.

હવે કોઈ પણ કેસમાં ચાર્જશીટ દાખલ ન કરવાનો આદેશ
ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી છે, પણ પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં પોતાના કોઈ પણ કેસમાં આરોપનામું દાખલ ન કરવાની અરજી કરી હતી એની સુનાવણીમાં ગઈ કાલે સર્વોચ્ચ અદાલતે હવે પરમબીર સિંહ સામેના કોઈ પણ કેસમાં કોઈ પણ કોર્ટમાં આરોપનામું દાખલ ન કરવાનો આદેશ તમામ તપાસ એજન્સીઓને આપ્યો છે. સુનાવણી બાદ કોર્ટે હવે આ અરજીની સુનાવણી ૧૧ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK