ઘાટકોપરમાં ગઈ કાલે આવેલા ફૉરેસ્ટ ઑફિસરે કહ્યું કે તેમની પાસે બીજાં પાંજરાં નથી
કામા લેનની એક સોસાયટીમાં વાંદરાને પકડવા માટે મૂકવામાં આવેલું પાંજરું અને મુંબઈ રીજનના ફૉરેસ્ટ ઑફિસરો.
ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં વાંદરાઓના વધી ગયેલા ત્રાસને લીધે ગઈ કાલે સ્થાનિક રહેવાસીઓની ફરિયાદને કારણે વાંદરાને પકડવા માટે મુંબઈ રીજનના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કામા લેનમાં આવ્યા હતા. તેઓ ત્યાંની એક સોસાયટીમાં વાંદરાને પકડવા માટે પાંજરું મૂકીને સ્થાનિક રહેવાસીઓ વાંદરાઓને ખાવાનું ન આપે એવી સૂચના આપીને જતા રહ્યા હતા.
કામા લેનમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ત્રણ-ચાર વાંદરાઓ આવીને વસ્યા છે. એમાંથી એક વાંદરો ત્યાંના રહેવાસીઓને ભયંકર ત્રાસ આપી રહ્યો છે. મંગળવારે સાંજે આ વાંદરો એક સિનિયર સિટિઝન મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલાએ તેને બહાર કાઢવાની કોશિશ કરી તો તેણે મહિલાને બટકાં ભરીને ઈજા પહોંચાડી હતી. આ પહેલાં પણ આવી રીતે અન્ય લોકો પર તેણે હુમલા કર્યા હોવાથી તેને પકડવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ગુરુવારે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી એ જ દિવસે રાતના ત્યાંની સત્યમ સોસાયટીમાં ૯.૩૦ વાગ્યે એક દુકાનદાર યુવાન તેના ઘરે પહોંચ્યો ત્યારે તેના ફલૅટના દરવાજા પર વાંદરો આવીને બેસી ગયો હતો. એ યુવાને એને હટાવવાની કોશિશ કરી તો એણે યુવાન પર અટૅક કર્યો હતો. યુવાન ત્યાંથી ભાગ્યો તો વાંદરો તેની પાછળ ભાગ્યો હતો. છેલ્લે સ્થાનિક રહેવાસીઓ લાકડી લઈને તેની પાછળ ભાગતાં વાંદરો ભાગી ગયો હતો.
ગઈ કાલે ફૉરેસ્ટ અધિકારીઓ કામા લેનમાં પહોંચે એ પહેલાં જ આ વાંદરાએ દેવ ભુવન સોસાયટીમાં એક કૂતરા સાથે મારામારી કરી હતી એવી માહિતી આપતાં સ્થાનિક રહેવાસી ભરત લખપતવાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પથ્થર માર્યા તો પણ વાંદરો જવા તૈયાર નહોતો. આખરે ત્યાં પડેલાં ઝાડ-પાનનાં કૂંડાંઓને નુકસાન કરીને એ જતો રહ્યો હતો.
વાંદરાને પકડવા આવેલા ફૉરેસ્ટ ઑફિસરની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઑફિસરો સાંજે ૪.૩૦ વાગ્યે આવ્યા હતા. તેમણે અમને કહ્યું કે વાંદરાને પકડવા માટે અમારી પાસે પાંજરાં જ નથી, પણ એક પાંજરું લઈને તેઓ અમારી સોસાયટીમાં નીચે મૂકી ગયા છે. તેમની રીતે ૩૬ કલાકમાં વાંદરો પકડાઈ જશે, પરંતુ અમારા વિસ્તારમાં તો ચાર વાંદરા છે. એનું શું થશે એ અમને સમજણ
પડતી નથી.’
મુંબઈ રીજનના જુનિયર ફૉરેસ્ટ ઑફિસર પંકજ કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યાં સુધી લોકો વાંદરાને ખવડાવશે ત્યાં સુધી વાંદરાઓ આ વિસ્તાર છોડશે નહીં. આ વાંદરાઓને સ્થાનિક લોકોએ પહેલાં ખવડાવવાનું જ બંધ કરવું જોઈએ. તેમને જંગલમાં ખાવા મળતું નથી એટલે શહેરમાં ખાવાનું શોધવા આવ્યા છે, પણ અહીં ખાવાનું નહીં મળે તો તેઓ પાછા જતા રહેશે.’