આ છે જરૂરી ઉત્તરાયણમાં : હાઉસિંગ સોસાયટીઓને બીએમસી સમજાવશે કે વૃદ્ધો અને વૅક્સિન વિનાનાં બાળકો ખાતર કોવિડને છૂટો દોર ન અપાય
ફાઈલ તસવીર
ઉત્તરાયણ આવતાં જ મુંબઈનાં ગુજરાતી બહુમતી ધરાવતાં પરાંઓના ગુજરાતીઓમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં પતંગ ચગાવવાનો ઉમંગ ઉછાળા મારવા માંડે છે અને ટેરેસ પર તથા કમ્પાઉન્ડમાં ‘કાઇપો છે’ના પોકાર સાંભળવા મળે છે. એક બાજુ ઊંધિયા, પોંક અને અડદિયાની ધમાલ અને બીજી બાજુ લાઉડ મ્યુઝિક સાથે પતંગ ચગાવવાનો ઉત્સાહ અનેરો હોય છે. જોકે આ વખતે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી પોલીસ અને પ્રશાસન કેસ વધે નહીં એ માટે વધુ ને વધુ કાળજી લઈ રહ્યાં છે. મુંબઈ મહાનગરપાલિકા પણ સખતાઈથી નહીં, સમજદારીથી કામ લઈ રહી છે. સુધરાઈ દ્વારા કહેવાયું છે કે આમ પણ પાંચ જણ કરતાં વધુ લોકો એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ છે. એ વાતનું ધ્યાન રખાય અને સોસાયટીઓ પોતે પણ થોડી અલર્ટ રહે અને કેટલાક નિયમો બનાવે. એટલું જ નહીં, જે સોસાયટીમાં મોટા પાયે ઉજવણી થતી હોય છે ત્યાં બીએમસી દ્વારા ખાસ અવેરનેસ કૅમ્પના આયોજનની તૈયારીઓ થઈ રહી છે.
આમ પણ છેલ્લા થોડા સમયથી ઉત્તરાયણનો મહિમા ઘટી ગયો છે અને મોટી સંખ્યામાં મુંબઈગરાઓ તહેવાર મનાવવા ગુજરાત જવા માંડ્યા છે. બાકી ગુજરાતી વિસ્તારોમાં મકરસંક્રાન્તિના દિવસે બપોર પછી થોડીઘણી પતંગો ઊડતી જોવા મળે છે, એ પણ હવા હોય તો જ. જોકે યંગસ્ટરોને ઉત્તરાયણના બહાને સાંજના સમયે ટેરેસ પર ભેગા થવાનું બહાનું મળી જાય છે અને તેઓ મસ્તી-મજાક કરતા જોવા મળે છે. આ વખતે એવું ન થાય એ માટે સુધરાઈ સોસાયટીઓને સમજાવવાનું વિચારી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ વિશે જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ઑલરેડી પાંચ કરતાં વધુ લોકોને ભેગા થવા પર હાલમાં પ્રતિબંધ છે. ઉત્તરાયણ વખતે મુખ્યત્વે હાઉસિંગ સોસાયટીઓએ ધ્યાન રાખવાનું છે કે નિયમોનું પાલન થાય. તેમણે પોતે જ કેટલાક નિયમો બનાવી ખબરદારી રાખવી પડશે, કારણ કે જો લોકો ભેગા થશે તો તેમની જ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન અને વૅક્સિન ન લેનાર બાળકો સામે કોરોનાનું જોખમ વધી જશે, એથી સોસાયટીઓ જ પોતાના નિયમ બનાવે અને એનું પાલન કરાવે. અમે પણ વૉર્ડ-ઑફિસરે કહી એવી સોસાયટીઓ જ્યાં મોટા પાયે ઉજવણી થતી હોય ત્યાં લોકોને સમજાવવા અવેરનેસ કૅમ્પ યોજવાનું કહેવાના છીએ.’