જ્યોતિરાદિત્ય જેવું પાત્ર મહા વિકાસ આઘાડીમાં નથીઃ અજિત પવાર
અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ‘રાજ્યની શાસનકર્તા મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં ક્યાંય જ્યોતિરાદિત્ય સિંધિયા જેવું પાત્ર નથી. બીજેપીએ એમના સભ્યો પર ધ્યાન આપવાની જરૂર છે.’
નાણાં મંત્રાલયનો પણ અખત્યાર સંભાળતા અજિત પવારે બજેટની માગણીઓ પરની ચર્ચાનો ઉત્તર આપતી વેળા ગુરુવારે બીજેપીના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સુધીર મુનગંટીવારની ટિપ્પણોનો જવાબ આપ્યો હતો. સુધીર મુનગંટીવારે ગુરુવારે જણાવ્યું હતું કે ‘અમે શિવસેનાને દગો દીધો હતો. એ અમારી ભૂલ અમે ક્યારેક સુધારી લઈશું. મહા આઘાડીમાં ક્યાંક કોઈ જ્યોતિરાદિત્ય સિંધિયા પાકશે.’
અજિત પવારે જણાવ્યું હતું કે ‘ભૂલો માફ ન કરી શકાય. અમારામાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવું કોઈ પાત્ર નથી. ઉલટું બીજેપીએ એમના વિધાનસભ્યો પર ધ્યાન આપવું જરૂરી છે. હાલ ગૃહમાં બીજેપીના જે સભ્યો હાજર નથી, એમના સગડ મેળવો. તમે મારી વાત કરતા હો તો મેં જે કર્યું એ ખુલ્લેઆમ કર્યું હતું. હું સીમાંકન પાર કરીને ગયો અને પાછો પણ આવી ગયો. હવે હું મારા સ્થાન પર બરાબર ગોઠવાયેલો છું.’