પોલીસે ૧૫ વર્ષના શંકાસ્પદ સગીરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : કલ્યાણમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેનું ગળું ચીરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે કલ્યાણ હચમચી ગયું છે. પોલીસે એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. આરોપી સગીર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે માહિતી આપી હતી કે મરનાર બાળકી અને શંકાસ્પદ આરોપી બન્ને રોડ પર પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર ગઈ કાલે સવારે ચાર વાગ્યે કલ્યાણ રેલવે સ્ટેશન પાસે એસટી બસ-સ્ટૉપ નજીક એક હાઇરાઇઝ સોસાયટીની બહાર ફુટપાથ પર નવ વર્ષની બાળકીનું ગળું કાપીને તેને નગ્ન અવસ્થામાં છોડી દેવામાં આવી હતી. આ વિશે સ્થાનિક નાગરિકોએ મહાત્મા ફુલે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસે બાળકીનો મૃતદેહ તાબામાં લઈને હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો, જેના પરથી સ્પષ્ટ થયું કે બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી ફરિયાદ નોંધીને પોલીસે આરોપીને શોધવા માટે ટીમો
બનાવી હતી. તેમણે એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચેક કર્યાં હતાં. તપાસ દરમ્યાન પોલીસને માહિતી મળી કે આ બાળકી રોડ પર જ રહેતી હતી. એટલે તપાસ કરી ૧૫ વર્ષના એક કિશોરને તાબામાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક હોનમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર બાળકીની હત્યા બળાત્કાર પછી કરવામાં આવી છે. અમે એક શંકાજનક કિશોરને તાબામાં લઈને તેની પૂછપરછ કરી રહ્યા છીએ.’