મોડી રાતના ઇમર્જન્સી કેસમાં શહેરની ભાભા હૉસ્પિટલે બહારથી બ્લડ મેળવવું પડે છે
ભાભા હૉસ્પિટલની બ્લડ બૅન્કમાં હાલમાં એક કાયમી ટેક્નિશ્યન છે, બે કૉન્ટ્રૅક્ટ ટેક્નિશ્યન છે, એક નર્સ અને એક ક્લાર્ક જ છે (ફાઇલ તસવીર)
બ્લડ બૅન્ક આમ તો ૨૪ કલાક અને સાતેય દિવસ ચાલુ રહેવી જોઈએ, પણ મુંબઈ મહાનગરપાલિકાના સંચાલનમાં એવું નથી થઈ રહ્યું. સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત શહેરની અગ્રણી ભાભા હૉસ્પિટલમાં રાતના સમયે બ્લડ બૅન્ક ચાલુ નથી રહેતી. બાંદરામાં આવેલી ૪૩૬ બેડ ધરાવતી આ હૉસ્પિટલમાં ૧૪ પૅથોલૉજિકલ ટેક્નિશ્યન હોવાનું સૂત્રો જણાવે છે. એમાંથી પાંચ પાસે જરૂરી મેડિકલ લૅબોરેટરી ટેક્નૉલૉજીનું સર્ટિફિકેટ છે, પણ હૉસ્પિટલ દ્વારા બ્લડ બૅન્કને ચાલુ રાખવા માટેના પ્રયાસ થતા જોવા નથી મળ્યા. હૉસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે લૅબોરેટરીના સ્ટાફને બ્લડ બૅન્ક ચલાવવા માટે આગ્રહ ન કરી શકાય. બ્લડ બૅન્ક માટે હોદ્દા તૈયાર કરીને એના પર કર્મચારીઓની નિમણૂક કરવાની તેમની અરજી હજી પેન્ડિંગ છે.
અગાઉ હૉસ્પિટલની બ્લડ બૅન્ક બ્લડ ટ્રાન્સફ્યુઝર ઑફિસર (બીપીઓ) વગર ચાલતી હોવાને લીધે થોડા સમય માટે સીલ પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
હૉસ્પિટલના ઍક્ટિંગ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય પાટીલનો આ મુદ્દે સંપર્ક કરતાં તેમણે બ્લડ બૅન્ક સવારે આઠથી રાતે નવ વાગ્યા સુધી બે જ શિફ્ટમાં ચાલતી હોવાની અને સ્ટાફ ઓછો હોવાની વાતની ખાતરી કરી હતી. તેમણે કહ્યું કે અત્યારે અમારી પાસે માત્ર એક કાયમી ટેક્નિશ્યન છે, બે કૉન્ટ્રૅક્ટ ટેક્નિશ્યન છે. એક નર્સ અને એક ક્લાર્ક છે, બીપીઓ નથી. અહીં ત્રણ બીપીઓ, છ ટેક્નિશ્યન અને એક સમાજસેવક હોવા જોઈએ.
આ અંગે હૉસ્પિટલનાં સૂત્રો કહે છે કે પ્રશાસન દ્વારા સંચાલિત ઘણી હૉસ્પિટલોમાં બીપીઓ નથી અને ભાભા હૉસ્પિટલમાં તો ફુલટાઇમ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ પણ નથી.
ઇમર્જન્સી કેસ માટે ભાભા હૉસ્પિટલ મહાત્મા ગાંધી બ્લડ બૅન્ક અને ક્રિટી કૅર બ્લડ બૅન્ક સાથે જોડાયેલી છે. જરૂર પડે ત્યારે જે. જે. હૉસ્પિટલની બ્લડ બૅન્કની પણ મદદ લેવામાં આવે છે.
એડિશનલ મ્યુ. કમિશનર સુરેશ કાકાણી
બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ‘છ હૉસ્પિટલોમાં ડીએમબી કોર્સ ચાલુ કરવાનું આયોજન અંતિમ તબક્કામાં છે. એક વાર આખું માળખું તૈયાર થઈ જશે અને કોર્સ પૂરેપૂરો ચાલવા લાગશે એ પછી અમે બ્લડ બૅન્કો ચોવીસે કલાક ચાલુ રાખવા માટેની જરૂરત પૂરી કરવા માટે સક્ષમ થઈ જઈશું. ઉપરાંત ભાભા હૉસ્પિટલમાં રાતના સમયમાં ઇમર્જન્સી સર્જરી કરવી પડે એવા કિસ્સા ઘણા ઓછા આવતા હોવાની પણ અમે નોંધ લીધી છે.’