RSSની માફક NCP પણ કાર્યકરોની કૅડર તૈયાર કરશે
રવિકિરણ દેશમુખ
મુંબઈ, તા. ૯
કોઈ રાજકીય પક્ષના સભ્ય માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ હોય, શાકાહારી ભોજન લેવું ફરજિયાત હોય તેમ જ કોઈ પણ જાતની અનૈતિક પ્રવૃત્તિથી દૂર રહેવાનું હોય એ સાંભળીને થોડીક નવાઈ જરૂર લાગે; પરંતુ આરએસએસના પ્રચારકની માફક એનસીપી પણ પોતાના પક્ષના કાર્યકરોની એક કૅડર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. એનસીપીના માળખાને વિસ્તૃત કરવા પક્ષે ૨૦ કો-ઑડિનેટર નીમ્યા છે જેમાંથી ચાર મુંબઈ અને ૧૬ રાજ્યના બાકીના ભાગ માટે છે. તેમનું પહેલું લક્ષ્ય લોકસભા તેમ જ બાદમાં વિધાનસભા ચૂંટણી રહેશે. તેઓ પોતે ચૂંટણી નહીં લડે, પરંતુ તેમને સોંપવામાં આવેલા જિલ્લાઓમાં જ ધ્યાન કેન્દ્રિત કરશે. પક્ષના વફાદાર કાર્યકરોની તેઓ બેઠક પણ યોજશે. ઉપરાંત પક્ષ પ્રત્યેની વફાદારી તેમ જ કામના આધારે નવા લોકોને જવાબદારી સોંપવાનું કામ પણ કરશે. એક કો-ઑર્ડિનેટરે કહ્યું હતું કે પક્ષ માટે મહિનાના ૧૨ દિવસ ફાળવવા પડશે, માત્ર ચીફ કો-ઑડિનેટર તથા સ્ટેટ યુનિટ ચીફને જ પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે.
પક્ષના સભ્યોના જણાવ્યા પ્રમાણે આજકાલ મોટા ભાગના કાર્યકરો સત્તા માટે ભૂખ્યા છે તેમ જ લોકોમાં તેમની કોઈ લોકપ્રિયતા નથી એટલે પક્ષ માટે સમર્પિત કાર્યકરોની એક કૅડર એનસીપી બનાવવા માગે છે જે ભવિષ્યમાં કૉન્ગ્રેસને ઇલેક્શનમાં પછાડવામાં સહાયરૂપ બની શકે, કારણ કે એનસીપીના કાર્યકરોને કૉન્ગ્રેસ એની તરફ આકર્ષીને પક્ષને નબળો કરવા માગે છે. એનસીપીના જનરલ સેક્રેટરી શિવાજીરાવ ગજરેએ કહ્યું હતું કે પક્ષના માળખાને વધુ મજબૂત બનાવવા માટે આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોડ ઑફ કન્ડક્ટ વિશે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે એ વ્યક્તિત્વના વિકાસ માટે જરૂરી છે જે આગળ જતાં પક્ષ માટે પણ ફાયદાકારક હશે.
એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ