બોર્ડની પરીક્ષા તો જાહેર કરી, પણ બાકીના વિદ્યાર્થીઓનું શું?
ફાઈલ તસવીર
બોર્ડની પરીક્ષાની તારીખ નક્કી થઈ ચૂકી છે ત્યારે સ્કૂલના શિક્ષકો જુનિયર ક્લાસના વિદ્યાર્થીઓનું ગુણાંકન કેવી રીતે કરવામાં આવશે એ જાણવા ઇચ્છે છે. ગયા શૈક્ષણિક વર્ષમાં મહામારીને કારણે સંપૂર્ણ લૉકડાઉનને પરિણામે વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના આગળના ધોરણમાં લઈ લેવાયા હતા. હજી સર્વત્ર શાળાઓ ખૂલી નથી એથી આ વર્ષે પરીક્ષા લેવાય એ શક્ય નથી અને સાથે જ વિદ્યાર્થીઓને ફરી પાછા મૂલ્યાંકન વિના જ આગળના ધોરણમાં ચડાવી શકાય નહીં એમ શિક્ષકોએ જણાવ્યું હતું.
વર્તમાન શૈક્ષણિક વર્ષ મોટા ભાગે ઑનલાઇન પદ્ધતિથી પસાર થયું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ કે સ્માર્ટ ડિવાઇસને કારણે વર્ગોથી વંચિત રહ્યા છે. ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સરકાર ચોક્કસ માર્ગદર્શિકા જારી કરે એમ શિક્ષકો ઇચ્છે છે.
ADVERTISEMENT
શિક્ષક સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદના અનિલ બોરનારેએ જણાવ્યું હતું કે ‘મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં હજી શાળાઓ ખૂલી નથી. રાજ્યના અન્ય ભાગોમાં જ્યાં વર્ગખંડોમાં શિક્ષણ શરૂ કરાયું છે ત્યાં કોરોનાના કેસ વધવાને કારણે શાળાઓ ફરી બંધ થઈ રહી છે. આ સ્થિતિમાં પરીક્ષા યોજવી મુશ્કેલ છે. ગયા વર્ષે અમે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં ચડાવ્યા હતા, કારણ કે ફાઇનલ પરીક્ષાની બરાબર પહેલાં જ લૉકડાઉન લાગુ થયું હતું. આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ઑનલાઇન વર્ગમાં જોડાઈ શક્યા નથી.