રસ્તા, ટ્રેનો, ઍરપોર્ટ ખાલીખમ
ADVERTISEMENT
બાળ ઠાકરેની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર ફેલાતાં બુધવારે રાતથી બાંદરા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની દિશામાં જતી રિક્ષાઓ તથા બસોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકોએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જૅમ કરી દેતાં હાલત વધુ બગડી હતી. ગઈ કાલ સવારથી જ બાળ ઠાકરેના સમર્થકોએ છૂટાંછવાયાં સ્થળોએ તોડફોડ કરવાની શરૂઆત કરી હતી. સવારે છ અને સાત વાગ્યે શિવસેનાના સમર્થકોએ બેસ્ટની બસોની તોડફોડ કરવાની શરૂઆત કરી હતી. લાલબાગ ફ્લાયઓવર પાસે બે બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જ્યારે અંધેરી (વેસ્ટ)માં જીવનનગરમાં પણ એક બસને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
શિવસૈનિકોએ મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં જઈને દુકાનો બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું. વાકોલા, શિવાજીનગર, ચેમ્બુર, અંધેરી, પરેલ, લાલબાગ, બાંદરા, દાદર, માટુંગા, સાયન, ગિરગામ, ઘાટકોપર અને નવી મુંબઈ જેવા વિસ્તારોમાં ભાઈબીજને પગલે ખરીદી કરવા નીકળેલા અનેક લોકોને દુકાનો બંધ રહેવાને કારણે વીલા મોઢે પાછા જવું પડ્યું હતું. મુંબઈના અમુક વિસ્તારોમાં તો દુકાનદારોએ કોઈ જોખમ લેવાને બદલે પોતાની જાતે જ દુકાન બંધ કરી દીધી હતી.
બીજી તરફ બપોરે બે વાગ્યે
સાયન-કોલીવાડામાં પણ એક બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેસ્ટે ૩૦ ટકા ઓછી સર્વિસ જ ચાલુ રાખી હતી તો ૮૫ ટકા કરતાં પણ ઓછી ટૅક્સીઓ તેમ જ ૭૫ ટકા કરતાં ઓછી રિક્ષાઓ રસ્તા પર દોડતી હતી. મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા, સીએસટી તથા કુર્લા ટર્મિનસમાં રિક્ષા તથા ટૅક્સીની અછતને કારણે રેલવે ઑથોરિટીએ બેસ્ટને વધુ બસ દોડાવવા માટે વિનંતી કરી હતી.
રેલવેમાં ૫૦ ટકા કરતાં પણ ઓછી હાજરી જોવા મળતી હતી. નરીમાન પૉઇન્ટ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, લોઅર પરેલ જેવાં વ્યાપારિક કેન્દ્રોમાં પણ લોકોની પાંખી હાજરી હતી.
મુંબઈ ઍરપોર્ટના ઍર ટ્રાફિક પર પણ ખરાબ અસર પડી હતી. ઍરપોર્ટના ટ્રૉલી પ્રોવાઇડર્સ તથા લોડર્સ સાથે સંકળાયેલા લોકો કામ પર આવ્યા નહોતા. દિલ્હી જતી ફ્લાઇટ પર વિશેષ અસર જોવા મળી હતી. મુસાફરોને ઍરપોર્ટ પરથી પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે ટૅક્સી માટે ઘણી રાહ જોવી પડતી હતી. અફવાઓ વચ્ચે ઘાટકોપરમાં અનેક દુકાનદારોએ તોફાનના ડરથી સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી હતી. ઘાટકોપર (વેસ્ટ)માં ત્રણ-ચાર જાણીતા શિવસૈનિકોના આંખના ઇશારે શાકમાર્કેટ અને દુકાનો બંધ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે કેમિસ્ટો પણ તેમાં સામેલ થઈ ગયા હતા. જોકે સાંજ પછી દુકાનો ખુલી ગઈ હતી.
એપીએમસી માર્કેટમાં પણ હંગામો
બુધવારે રાત્રે બે વાગ્યે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની તબિયત ખરાબ હોવાને કારણે કામકાજ બંધ કરાવવા માટે ફરજ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે તરત જ તેમની અટક કરી હતી. જોકે તેઓ શિવસેનાના કાર્યકરો નહોતા. આ બધાને કારણે એપીએમસીમાં ઘણાં ઓછાં કામકાજ થયાં હતાં. સામાન્ય રીતે દરરોજ ૫૫૦થી ૬૦૦ જેટલી ટ્રક આવતી હોય છે એની જગ્યાએ ગઈ કાલે માત્ર ૩૨૮ ટ્રક જ આવી હતી. બાળ ઠાકરેની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાં એપીએમસીમાંથી મુંબઈના રીટેલ માર્કેટમાં માત્ર ૧૨૪ ટ્રક ગઈ હતી.
બેસ્ટ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ, સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ, એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી