મીરા-ભાઈંદરના ડૉ. અશોક ગીતેના પગની સર્જરી હજી મહિના પહેલાં જ થઈ છે. એ પછી આરામ કરવાને બદલે તેમણે વર્તમાન કટોકટીમાં પોતાની જાતને પાછી દરદીઓની સેવામાં હોમી દીધી છે
વૉકરના સહારે દરદીઓની સેવા કરતા ડૉક્ટર અશોક ગીતે.
સરકારે ડૉક્ટર્સ, નર્સ, પોલીસ અને મહાનગરપાલિકા ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેને કોરોના-યોદ્ધા ગણાવ્યા છે. આમ હોવા છતાં કેટલાક લોકો આ લડવૈયાઓને ખરાબ કહેવાનું છોડતા નથી. આ બધા લોકો તેમના પરિવારજનો અને પોતાના જીવનને ધ્યાનમાં લીધા વિના માનવજીવનની સુરક્ષા કરવા માટે રાત-દિવસ લોકોની સેવામાં જોડાયેલા છે. આવા જ એક કોરોના-યોદ્ધા ડૉ. અશોક ગીતે છે, જેમણે હિપ જૉઇન્ટ્સ ઑપરેશન કરાવ્યા બાદ બેડ-રેસ્ટ લેવાને બદલે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્તપણે સંચાલિત ભારત રત્ન પંડિત ભીમસેન જોશી (ટેમ્બા) હૉસ્પિટલના કોરોનાના દરદીઓની સેવામાં વ્યસ્ત છે. હિપ જૉઇન્ટ્સના ઑપરેશનને લીધે ચાલવા માટે વૉકરનો ટેકો લેવો જરૂરી છે છતાં પોતાની અસહ્ય પીડા ભૂલીને દરદીઓની સેવા કરનાર ડૉ. અશોક ગીતેની ભાવનાને સલામ કરવા જેવી છે.
ડૉક્ટર અશોક ગીતે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘આ તો હું પનવેલનો રહેવાસી છું. હાલમાં કોરોનાને કારણે વહીવટી તંત્રએ ભાઈંદર-વેસ્ટના મહેશ્વરી સદનમાં મારી રોકાવાની વ્યવસ્થા કરી છે. ૨૦૧૯માં પંડિત ભીમસેન જોશી હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે મારી નિયુક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ ઍડિશનલ સિવિલ સર્જ્યનનું પદ સોંપાયું હતું અને હાલમાં સિવિલ સર્જ્યનના પદ પર સેવા આપી રહ્યો છું.’
ADVERTISEMENT
ડૉક્ટર અશોક કોરોનાની પ્રથમ લહેર ૨૦૨૦ના માર્ચ મહિનાથી કોરોનાના દરદીઓની સેવામાં સતત કાર્યરત છે. હજી માર્ચના અંતમાં તેમના બન્ને (જમણા-ડાબા) હિપ્સના સાંધા પર સર્જરી કરાવી હતી. ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા ૭થી ૮ અઠવાડિયાં સુધી બેડ-રેસ્ટ કરવાની સલાહ આપી હતી, પરંતુ મીરા-ભાઈંદર શહેરમાં કોરોનાના દરદીઓની વધતી સંખ્યાથી ચિંતિત ડૉ. ગીતેએ થોડી રાહત અનુભવતાં ફરીથી લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આજે પણ તેમણે પોતાની દરરોજની દિનચર્યા માટે પત્ની રજની ગીતે પર નિર્ભર રહેવું પડે છે.
ડૉક્ટર અશોક ગીતે કહે છે કે ‘સૌથી મુશ્કેલ કાર્ય છે કોવિડમાં મૃત્યુ પામનાર દરદીઓના પરિવારજનોને સમજાવવાનું. લોકોએ લક્ષણ દેખાતાં તરત જ સમયસર સારવાર લેવી અને માસ્ક, સૅનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ. જો લોકો નિયમોનું ધ્યાન રાખશે તો આરોગ્ય-વ્યવસ્થા પર ઓછી તાણ આવશે.’
સૌથી મુશ્કેલ કાર્ય છે કોવિડમાં મૃત્યુ પામતા દરદીઓના પરિવારજનોને સમજાવવું. લોકોએ લક્ષણ દેખાતાં જ તરત સમયસર સારવાર લઈ લેવી.
ડૉ. અશોક ગીતે.