પાલઘરના ખેડૂતને મળી આવ્યો 900 વર્ષ જૂનો ગાય પથ્થર
ખેડૂતને મળી આવેલો ‘ગાય પથ્થર’.
પાલઘરમાં કોકનેરનો ખેડૂત વિલાસ પાટીલ મંગળવારે વાવણીની કામગીરી માટે ખેતર ખોદતો હતો ત્યારે ૯૦૦ વર્ષ જૂનો ‘ગાય પથ્થર’ મળી આવ્યો હતો. પાલઘર જિલ્લાના પ્રાચીન કિલ્લાઓ શોધનાર કિલ્લે વસઈ મોહિમના ઇતિહાસકાર ડૉ. શ્રીદત્ત રાઉતે જણાવ્યું હતું કે ‘પથ્થરની રચનામાં કોઈ શિલાલેખ નથી, પરંતુ એમાં ગાય અને વાછરડાને દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત સૂર્ય અને ચંદ્રની છબિઓ પણ છે. એથી આ માળખું કયા રાજવંશનું છે એ શોધી કાઢવું મુશ્કેલ છે અને આવા વધુ પથ્થરને શોધવા માટે નજીકની જમીનમાં ખોદકામ કરવાથી અમને સચોટ હકીકત મળશે.’
ખેડૂતને ઘાસ અને માટીવાળો આ પથ્થર મળતાં તેણે પહેલાં એને સાફ કરતાં એના પરની કારીગરી જોવા મળી હતી.
ADVERTISEMENT
ડૉ. શ્રીદત્ત રાઉતે જણાવ્યું હતું કે ‘હજારેક વર્ષ પહેલાં રાજાઓ ખેડૂતોને સારાં કાર્યોની પ્રશંસારૂપે વિશાળ જમીન આપતા જેથી તેઓ જનાવરોને ઉછેરે અને ત્યાં ચરવા દે. ‘ગાય પથ્થર’ એ જમીન પર મૂકવામાં આવતા હતા જેથી લોકોને ખબર પડે કે રાજા દ્વારા વિશાળ જમીન દાન કરવામાં આવી છે, પરંતુ આપણે જાણતા નથી કે કયા રાજાએ આવી જમીન દાનમાં આપી છે. જો આવા વધુ ‘ગાય પથ્થર’ નજીકના ભાગમાંથી મળશે તો ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.’
દરમિયાન, સ્થાનિક લોકો દ્વારા ત્યાંના પ્રખ્યાત શિવમંદિરના પ્રવેશદ્વાર પાસે ‘ગાય પથ્થર’ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભક્તોને ગામના ઐતિહાસિક મહત્ત્વની જાણકારી મળે. કોકનેર એના ગરમ પાણીના ઝરણા માટે પર્યટક-સ્થળ તરીકે જાણીતું છે જેમાં સલ્ફરનું પ્રમાણ વધુ છે.