Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પીપીઈ કિટ સાથે વર્ષીતપનાં પારણાં

પીપીઈ કિટ સાથે વર્ષીતપનાં પારણાં

16 May, 2021 07:47 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

મરાઠી માણૂસ દત્તાત્રય ગોરેને વર્ષીતપનાં પારણાં કોવિડ સેન્ટરમાં જઈને કરાવ્યાં ડોમ્બિવલીના સર્વોદય ગ્રુપના કચ્છી માડુઓએ

કોવિડ કૅર સેન્ટરમાં દત્તાત્રય ગોરેને શેરડીનો રસ પીવડાવી વર્ષીતપનાં પારણાં કરાવી રહેલા સર્વોદય ગ્રુપ, ડોમ્બિવલીના સભ્યો.

કોવિડ કૅર સેન્ટરમાં દત્તાત્રય ગોરેને શેરડીનો રસ પીવડાવી વર્ષીતપનાં પારણાં કરાવી રહેલા સર્વોદય ગ્રુપ, ડોમ્બિવલીના સભ્યો.


જૈનાનાં વર્ષીતપનાં પારણાં અખાત્રીજના દિવસે સમૂહમાં થતાં હોય છે, પણ કોરોનાને લીધે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તપસ્વીઓએ પોતાની રીતે ઘરે જ વર્ષીતપનાં પારણાં કર્યાં હતાં. જોકે આ બધામાં મુલુંડમાં રહેતા મરાઠી બંધુ દત્તાત્રય સખારામ ગોરેનો કિસ્સો જ કંઈક અલગ છે. તેમણે આ વખતે બીજી વાર વર્ષીતપ કર્યું હતું, પણ કોરોના થવાને લીધે પારણાં કઈ રીતે કરવાં એની તેમને ચિંતા સતાવી રહી હતી. જોકે ડોમ્બિવલીના જે ક્વૉરન્ટીન સેન્ટરમાં તેઓ હતા ત્યાં જઈને ડોમ્બિવલીની એક સંસ્થાના સભ્યોએ પીપીઈ કિટ પહેરીને તેમને ઇક્ષુ રસ (શેરડીનો રસ) પીવડાવીને પારણાં કરાવ્યાં હતાં. વર્ષીતપમાં આખા વર્ષ દરમ્યાન એક દિવસ ઉપવાસ અને એક દિવસ બ્યાસણું કરવાનું હોય છે. 

દત્તાત્રય ગોરે ડોમ્બિવલીના કચ્છી વીસા ઓસવાળ (કવીઓ) કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. વર્ષીતપનાં પારણાં અખાત્રીજ (અક્ષયતૃતીયા)ના દિવસે થતાં હોય છે. એથી ડોમ્બિવલીના સર્વોદય ગ્રુપના સભ્યોએ ખાસ પરવાનગી મેળવીને તેમને વર્ષીતપનાં પારણાં કરાવ્યાં હતાં. તેમની આ સદ્ભાવનાથી તપસ્વી દત્તાત્રય ગોરે પણ આનંદિત થઈ ગયા હતા અને તેમનો આભાર માન્યો હતો. 



આ વિશે વધુ માહિતી આપતાં સર્વોદય ગ્રુપના સભ્ય હિતેન ગડાએ કહ્યું હતું કે ‘અમારું સર્વોદય ગ્રુપ ડોમ્બિવલીમાં કવીઓ સમાજ માટે સામાજિક કામ કરતું રહે  છે. અમને જાણ થઈ કે મુલુંડના દત્તાત્રય ગોરેએ વર્ષીતપ કર્યું છે અને તેઓ હાલ કવીઓ કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ છે. એથી અમે કવીઓ કોવિડ સેન્ટરના ડૉક્ટરો અને મૅનેજમેન્ટને મળીને તેમને પારણાં કરાવવાની પરવાનગી માગી હતી. દત્તાત્રય ગોરેનો ક્વૉરન્ટીનનો સેકન્ડ લાસ્ટ દિવસ હતો અને તેમની તબિયત પણ સારી હતી. એથી તેમણે અમને બહુ લિમિટેડ લોકોને જ પરવાનગી આપી હતી. એટલું જ નહીં, અમે કોવિડ સેન્ટર પર પહોંચ્યા ત્યારે અમને પીપીઈ કિટ આપી હતી. અમે એ કિટ પહેરીને અંદર ગયા હતા અને દત્તાત્રય મોરેને ઇક્ષુ રસ (શેરડીનો રસ) પાઈને વર્ષીતપનું પારણું કરાવ્યું હતું. ડોમ્બિવલીમાં હાલ ૩૭ શ્રાવકો વર્ષીતપનાં પારણાં કરી રહ્યા હતા. એમાં એક બહેનનું આ આઠમું વર્ષીતપ હતું. સામાન્યપણે શેરડીનો રસ પાઈને વર્ષીતપનાં પારણાં કરતા હોય છે. લૉકડાઉનને કારણે બહાર નીકળી શકાતું ન હોવાથી અનેક તપસ્વીઓ મૂંઝવણમાં હતા કે રસ કઈ રીતે મેળવવો. અમે તેમના વિશે માહિતી મેળવી તેમને નિશ્ચિંત રહેવા કહ્યું હતું અને ત્યાર બાદ એ તમામને તેમના ઘરે જઈને રસ પહોંચાડ્યો હતો. આમ તપસ્વીઓની આરાધનાને યોગ્ય માન અપાયું હતું.’  


જૈન ગ્રાહકોના સંપર્કમાં આવતાં જૈન ધર્મમાં રસ વધ્યો : તપસ્વી દત્તાત્રય ગોરે
મરાઠી હોવા છતાં વર્ષીતપ કરવાનું કેમ સૂઝ્યું એવો સવાલ દત્તાત્રય ગોરેને ‘મિડ-ડે’એ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું મુલુંડ (ઈસ્ટ)માં નવઘર રોડ પર રહું છું અને મારો લૉન્ડ્રીનો વ્યવસાય છે. મારા મોટા ભાગના ગ્રાહકો જૈન છે. તેમના સંપર્કમાં આવતાં જૈન ધર્મ વિશે જાણવા મળતું ગયું. એમાં એક ગ્રાહક હતાં નીતાબહેન મારુ. તેમનો પરિવાર બહુ જ ભક્તિભાવવાળો હતો. તેમના ઘરે દેરાસર પણ છે. એથી તેમને ત્યાં વ્યાખ્યાનમાં હું હાજરી આપતો થયો. ત્યાર બાદ નાના-મોટા પ્રસંગોમાં જવાનું થતું. એ પછી મેં વર્ષીતપ કરવાનું નક્કી કર્યું. પહેલું વર્ષીતપ ૨૦૧૭માં કર્યું હતું. આ બીજું વર્ષી તપ હતું. આ વર્ષે વર્ષીતપના અમે ૬૫થી ૭૦ તપસ્વી હતા. અખાત્રીજે જ્યારે ડોમ્બિવલીના જૈન ભાઈઓ મને પારણાં કરાવવા આવ્યા ત્યારે મને બહુ જ આનંદ થયો. તેમનો ખૂબ-ખૂબ આભાર.’ 

ઘરમાંથી તમને કેવો સપોર્ટ મળી રહ્યો છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં થોડી તકલીફ પડી, પણ પછી પરિવારના સભ્યો પણ ટેવાતા ગયા. મેં તો પૂર્ણપણે માંસાહારનો ત્યાગ કર્યો છે. પરિવારના સભ્યો પણ જ્યારે હું હાજર હોઉં ત્યારે ઘરમાં કોઈ નૉન-વેજ ડિશ બનાવતા નથી અને મારી આસ્થાનું માન જાળવે છે.’   


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2021 07:47 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK