મહારાષ્ટ્રના પ્રધાન અસલમ શેખે કહ્યું, આ બાબતે આવનારા બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે
ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં કોરોના વાયરસ (COVID-19) વૅક્સિનના બન્ને ડોઝ લેનારને મુસાફરી કરવાની મંજૂરી આપશે તે બાબતે આવનારા દિવસોમાં નિર્ણય લેવાશે, તેવા સમાચાર મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તાજતેરતમાં યોજાયેલી કેબિનેટ મિટિંગમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ફક્ત લોકલ ટ્રેનમાં જ નહીં પરંતુ વૅક્સિનના બે ડોઝ લેનાર વ્યક્તિને બેસ્ટની બસોમાં મુસાફરી કરવાની પરવાનગી આપવા બાબતે પણ ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
રાજ્યના કેબિનેટ પ્રધાન અસલમ શેખે કહ્યું કે, વૅક્સિનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવો કે નહીં એ બાબતે આવનારા બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, એક પ્રધાન તરીકે હું એ વાત સાથે સંમત છું કે જે વ્યક્તિએ વૅક્સિનના બે ડોઝ લીધા હોય તેમને લોકલમાં મુસાફરીની છૂટ આપવી જોઈએ. તેમણે જનતાના આ અભિપ્રાયથી મુખ્ય પ્રધાનને પણ માહિતગાર કર્યા છે.
ADVERTISEMENT
વધુમાં અસલમ શેખે કહ્યું કે, મુંબઈ વિશે ટાસ્ક ફોર્સે બનાવેલા રિપોર્ટ જોઈને આગામી બે-ત્રણ દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકાય છે. તાજેતરમાં થયેલી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારે કોરોના પ્રતિબંધના નિયમોમાં છુટછાટ આપવાની શરુઆત કરી છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પણ અનેક નિયમો છે. અત્યારે ફક્ત આવશ્ય સેવા સાથે જોડાયેલા લોકોને જ મુસાફર કરવાની મંજુરી છે. પરંતુ શહેરમાં હવે કોરોનાના કેસ ઓછા થતા લોકોએ પ્રવાસ કરવાની પરવાનગીની માગણી કરી છે.