કોવિડ-19 સ્પેશ્યલ કોચવાળી પહેલી ટ્રેન મુંબઈ અને મનમાડ વચ્ચે દોડી રહી છે
એક્સપ્રેસ ટ્રેન
હવે કોવિડ-19 સ્પેશ્યલ ટ્રેનો સર્વિસમાં જોડાઈ રહી છે. એવી પહેલી ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મનમાડ વચ્ચે દોડી રહી છે. સેન્ટ્રલ રેલવેના મનમાડ ડેપોમાં રેલવેના એન્જિનિયર્સે રોગચાળા પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને ટ્રેનોની ઍમેનિટીઝનું રીએન્જિનિયરિંગ કર્યું છે. પગ વડે વૉશબેસિનનો નળ અને વૉશરૂમનો ફ્લશ ચલાવવા જેવી વ્યવસ્થા એન્જિનિયર્સે કરી છે. હાલમાં ત્રણ કોચમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓના અભિપ્રાય જાણ્યા પછી અન્ય કોચમાં પણ એ સુવિધા દાખલ કરવામાં આવશે અને સુધારા-વધારા પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
વાઇરસ તાંબાના સંપર્કમાં ટકતો ન હોવાથી ઍમેનિટીઝમાં તાંબાનો ઉપયોગ પણ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. ટિટેનિયમ ડાયોક્સાઇડના કોટિંગનો પણ વપરાશ કરવામાં આવશે. ભવિષ્યમાં અન્ય ટ્રેનોમાં રેલિંગ્સ તથા માણસો જ્યાં વારંવાર હાથ મૂકતા હોય એવી જગ્યાઓ પર તાંબાનાં પતરાં લગાવવામાં આવ્યાં છે. પ્લાઝમા ઍર પ્યૉરિફિકેશનની પણ જોગવાઈ કરવામાં આવશે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘મુંબઈ-મનમાડ ટ્રેન ૧૨ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. લૉકડાઉન પછી એક રાજ્યનાં બે શહેર (મનમાડ અને મુંબઈ) વચ્ચે એ પહેલી ટ્રેન છે. આ ચોક્કસ ટ્રેનમાં મર્યાદિત ફેરફારો કે વિશિષ્ટ સુવિધાઓ છે, પરંતુ તાંબા અને ટિટેનિયમ ડાયોક્સાઇડના કોટિંગ તેમ જ પ્લાઝમા ઍર પ્યૉરિફિકેશન જેવી સુવિધા અને ડિઝાઇન ઇમ્પ્રૂવમેન્ટ્સ ધરાવતી ટ્રેનો દેશના તમામ પ્રાંતો માટે બનાવવાની તૈયારી ચાલી રહી છે.’