મુંબઈમાંથી ગિરદી ઓછી કરવા યુપી-બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો:ગડકરી
ઉદ્ધવ ઠાકરે
શિવસેનાએ સોમવારે મુંબઈમાંથી ગિરદી ઓછી કરવાની કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ટિપ્પણી પર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે જો ઉત્તર પ્રદેશ અને બિહારમાં મુંબઈ અને પુણે જેવી સ્માર્ટસિટી ઊભી કરવામાં આવે તો દેશની આર્થિક રાજધાનીની ગિરદી આપોઆપ ઓછી થઈ જશે.
શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘લૉકડાઉન દરમ્યાન પોતાના વતન જનારા શ્રમિકોમાંથી આશરે દોઢ લાખ સ્થળાંતરી શ્રમિકો મહારાષ્ટ્ર પાછા ફર્યા છે, કારણ કે તેમના વતનના રાજ્યમાં તેમની પાસે કોઈ કામ નથી. જો તેઓ એ રાજ્યોમાં વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરે તો ગડકરીની ચિંતા આપોઆપ ઉકેલાઈ જશે.’
ADVERTISEMENT
દેશની સરકારી તિજોરીમાં મુંબઈનું મહત્વનું યોગદાન છે, પરંતુ ‘કોવિડ-19 સામેની લડાઈમાં એને કેન્દ્ર પાસેથી જરૂરી નાણાકીય સહાય મળી નથી એવો એમાં દાવો કરવામાં આવ્યો છે.
ગડકરીએ કોરોના વાઇરસના વધી રહેલા કેસ સંદર્ભે ગયા મહિને જણાવ્યું હતું કે ‘મુંબઈ વસ્તીગીચતાનાં ‘ભયાવહ પરિણામો’નો સામનો કરી રહ્યું હોવાથી શહેરમાંથી ભીડ ઓછી કરવાની જરૂર છે.’
આશરે ત્રણ લાખ જેટલા શ્રમિકો પુણે છોડી ગયા હતા અને હવે તેઓ પાછા ફરવા માંડ્યા છે એને કારણે મુંબઈ અને પુણે પરનું ભારણ વધી રહ્યું છે એમ શિવસેનાએ જણાવ્યું છે.
સેનાએ એવો પણ સવાલ કર્યો હતો કે કેન્દ્ર સરકારે જૂન ૨૦૧૫માં ‘સ્માર્ટસિટી’ અભિયાન આદર્યું હતું, પણ આટલાં વર્ષોમાં કેટલાં શહેરોને વાસ્તવમાં સ્માર્ટ બનાવાયાં?