ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૪૮૮૭ થયો હતો
એલટીટી પર પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરતા આરોગ્ય કર્મચારી (તસવીર સમીર માર્કન્ડે)
શહેરમાં ગઈ કાલે ૩૨,૮૯૪ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૦૦ ટકા પૉઝિટિવિટી સાથે ૩૩૧ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૧૦ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાંથી ૧ દરદી ૪૦ વર્ષથી નીચેની ઉંમરનો હતો, ૧ દરદી ૪૦થી ૬૦ વર્ષનો હતો અને બાકીના ૮ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૮૯૯ થયો છે. ગઈ કાલે ૪૦૩ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૫,૧૧૨ કેસમાંથી ૭,૧૧,૯૨૦ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૪૮૮૭ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૧૪૫૮ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ૩ થઈ છે .એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૪૭ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૫૩ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૩૦ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.