મ્યુકરમાઇકોસિસનાં સંભવત લક્ષણો પર ચાંપતી નજર રાખવાનું દરેક વૉર્ડને કહેવામાં આવ્યું છે
બીએમસી - પ્રતીકાત્મક તસવીર
કોરોનાના દરદીઓમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં અચાનક જ થયેલા વધારાથી હરકતમાં આવેલી સુધરાઈએ કોરોનાના તમામ દરદીઓના ડિસ્ચાર્જ બાદ તેમનું ફૉલો-અપ કરવાનો નિર્ણય કર્યો છે.
બીએમસીના ઍડિશનલ મ્યુનિુસપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘વૉર્ડ અધિકારીઓને તેમના વૉર્ડના કોરોનાના દરદીઓ સાજા થઈ ગયા બાદ તેમનું ફૉલો-અપ કરવાની સૂચના આપી દેવાઈ છે. દરેક વૉર્ડની ટીમ તેમના વૉર્ડના કોવિડ દરદીઓનું ફૉલો-અપ કરે છે. અમે તેમને ડિસ્ચાર્જ થઈ ગયેલા દરદીઓમાં મ્યુકરમાઇકોસિસનાં સંભવિત લક્ષણો માટે તેમના પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. એના કારણે આ ફંગલ ઇન્ફેક્શનના સ્ક્રીનિંગ અને વહેલી તપાસ કરવામાં મદદ મળશે.’
ADVERTISEMENT
મુંબઈમાં બીએમસી અને સરકાર દ્વારા સંચાલિત જુદી-જુદી હૉસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસના ૧૫૧ દરદીઓ દાખલ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એમાંના મોટા ભાગના મુંબઈની બહારના છે. કોરોનાના દરદીઓ મ્યુકરમાઇકોસિસનાં લક્ષણો સાથે શહેરની હૉસ્પિટલોમાં દાખલ થવાના વધી રહેલા કેસ વિશે ‘મિડ-ડે’એ અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ઘણા દરદીઓએ આ ફંગલ ઇન્ફેક્શનના કારણે દૃષ્ટિ ગુમાવી દીધી છે અને ચહેરો કુરૂપ થઈ ગયો છે. કોરોનાકાળ પહેલાં મ્યુકરમાઇકોસિસ દુર્લભ ફંગલ ઇન્ફેક્શન ગણાતું હતું અને નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા દરદીઓમાં જ જોવા મળતું હતું.