સીએસએમટી પર આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ રહી છે ‘મીલ્સ ઑન વ્હીલ્સ’ રેસ્ટોરાં
‘મીલ્સ ઑન વ્હીલ્સ’ રેસ્ટોરાં
‘મીલ્સ ઑન વ્હીલ્સ’ રેલવે કોચનું આખરે સીએસએમટી પર આગમન થયું છે અને હવે જાહેર જનતા માટે એને ભવ્ય અને સુંદર રેસ્ટોરાંનાં રૂપરંગ અપાઈ રહ્યાં છે. ટ્રેનમાં ન જવાનું હોય એવા લોકો પણ ત્યાં ભોજન કરી શકે છે. રેસ્ટોરાં-કોચ ચાલુ મહિનાના અંત સુધીમાં જનતા માટે ખુલ્લો મુકાય એવી શક્યતા છે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘કોચને રેસ્ટોરાંમાં ફેરવાશે અને પ્લૅટફૉર્મ નંબર-૧૮ નજીકની રેલ હેરિટેજ ગલી પાસેના બાગમાં મૂકવામાં આવશે. આ જગ્યા ટિકિટ એરિયાની બહાર આવેલી હોવાથી ટ્રેનમાં ન જવાનું હોય એવી વ્યક્તિ પણ એનો લાભ લઈ શકે છે. ટૂંક સમયમાં આ રેસ્ટોરાં ખુલ્લી મુકાશે.’
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘રેસ્ટોરાંનાં બે સેક્શન્સ હશે – એક બેવરેજિસનો અને બીજો અવનવી વાનગીઓનો. એમાં એકસાથે ૪૦ વ્યક્તિઓ બેસી શકશે. મુખ્ય વાત એ છે કે રેલવેની થીમ ધરાવતી આ ડાઇનિંગ રેસ્ટોરાંમાં પાર્કિંગની અઢળક જગ્યા હશે, એટીએમ હશે અને ત્યાંથી સહેલાઈથી ઈસ્ટર્ન ફ્રીવે પહોંચી શકાશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની ઓપન ઍર હેરિટેજ ગલી રાતે રોશનીથી ઝગમગતી હોય છે અને ત્યાં દેશની પ્રથમ રેલવેની મૂલ્યવાન ચીજવસ્તુઓ સંગ્રહાયેલી છે અને રેસ્ટોરાં કોચને પણ એમાં સ્થાન મળશે.’
ફેબ્રુઆરી ૨૦૨૦માં ઈસ્ટર્ન રેલવેના આસનસોલ ડિવિઝન દ્વારા સમાન પ્રકારની રેસ્ટોરાં ઑન વ્હીલ્સ શરૂ કરવામાં આવી હતી. આસનસોલ ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે જૂના, જરીપુરાણા મેઇન લાઇન ઈએમયુ ટ્રેન કોચને ત્રણ મહિનામાં જ બે થીમ ધરાવતી સરસમજાની રેસ્ટોરાંમાં તબદીલ કર્યા હતા.