Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા મળશે

સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા મળશે

23 June, 2022 10:51 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

કટ્ટર શિવસૈનિકો અત્યારની પરિસ્થિતિ જોઈને બની ગયા ભાવુક : તેમનું કહેવું છે કે પક્ષમાં જે કંઈ નારાજગી હતી એ સામસામે ચર્ચા કરીને ઉકેલવી જોઈતી હતી

ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ આપવા માતોશ્રીની બહાર મોટા પ્રમાણમાં શિવસેનાના સપોર્ટરો એકઠા થયા હતા. (તસવીર : પીટીઆઇ) Maharashtra Political Drama

ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ આપવા માતોશ્રીની બહાર મોટા પ્રમાણમાં શિવસેનાના સપોર્ટરો એકઠા થયા હતા. (તસવીર : પીટીઆઇ)


વિશ્વાસઘાતની સીમા ક્રૉસ કરતાં શરમ પણ આવી નહીં એવું જણાવીને કટ્ટર શિવસૈનિક અને પોતાના ઘર પર ભગવો ઝંડો રાખીને બાળાસાહેબ ઠાકરેની પૂજા કરનાર ​વિલાસ ચૌરઘેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેનામાં પડી રહેલી ફૂટફાટ અને હાલની હાલત જોઈને હું છેલ્લા બે દિવસથી ભાવુક થઈ ગયો છું અને ગઈ કાલે તો રડી પડ્યો હતો. હું હિન્દુત્વ શું છે એ બાળાસાહેબ પાસેથી શીખ્યો હતો. એથી હાલમાં જે બળવાખોરો છે તેમણે હિન્દુત્વ એટલે શું એ પહેલાં સમજવાની જરૂર છે. બળવાખોરોને જરાય શરમ કે લાજ આવી નહીં કે આ હદે વિશ્વાસઘાત અને ગદ્દારી દેખાડી? સીએમ સમય નથી આપતા જેવી બધા પ્રકારની નારાજગી એક બાજુએ, પણ આ રીતે ગદ્દારી કરવાની કે આખા પક્ષને જ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? એકનાથ શિંદેને કોઈ સમસ્યા હતી તો એ પક્ષપ્રમુખ આગળ મૂકી શકતા હતા. મુંબઈમાં ઘરની પાસે બોલવાની વાતો સુરત જઈને કેમ બોલે છે? બાળાસાહેબે ભારે જહેમત અને સિદ્ધાંતો સાથે શિવસેના બનાવી હતી અને એની ગરમીને આ રીતે ઉછાળવામાં આવી રહી છે એ જોવાઈ રહ્યું નથી. મેં તો હવે ટીવી જોવાનું પણ બંધ કરી દીધું છે, કારણ કે આ બધું જોવાઈ રહ્યું નથી. શિવસેના એક કુટુંબ છે અને એમાં કુટુંબીજનો જ આવું કરે એ કઈ રીતે જોઈ શકાય?’

કટ્ટર શિવસૈનિકો ક્યારેય આવા બળવાખોરોને સમર્થન નહીં આપે એવું જણાવતાં શિવસૈનિક વિનાયક નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેનાના શાખાપ્રમુખો અને નાના-મોટા કાર્યકતાઓ પરિવારની જેમ મહેનત કરીને પક્ષ માટે કામ કરતા હોય છે. ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરાય છે ત્યારે પક્ષ મોટો થાય છે અને ત્યારે આ વિધાનસભ્યો ચૂંટાઈને આવે છે. તમે એક નજર નાખશો તો બળવાખોરો બધા વિધાનસભ્યો જ છે. કેમ કોઈ શાખાપ્રમુખ કે શહેરના અન્ય પદાધિકારીઓએ પક્ષ છોડવાની વાત કરી નહીં? આ બળવાખોરોને પોતાનું બધું સારું કરવું છે એટલે આ પરિસ્થિતિ ઊભી કરાઈ છે. ડ્રાઇવરથી આજે ગટનેતા સુધી પક્ષે તેમને પહોંચાડ્યા, આટલું મોટું વ્યક્તિત્વ બનાવ્યા એનું તો ઋણ રાખીને વિચારવું હતું. કટ્ટર શિવસૈનિકો આ લોકોને ક્યારેય સાથ આપશે નહીં અને આગામી ચૂંટણીમાં આ બળવાખોરોએ જનતા અને કટ્ટર શિવસૈનિકોનો સામનો કરવો પડશે.’



અન્ય એક કટ્ટર શિવસૈનિક ચંદ્રકાંત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે શિવસેનાએ સંસાર માંડ્યો એ અનેક શિવસૈનિકોને પસંદ પડ્યું નથી એ ખરી વાત છે, પરંતુ એનો જરાય એવો મતલબ નથી કે શિવસેનાને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દેવી. નારાજગી છે તો બોલીને કહો, પરંતુ આ રીતે જ્યાં-ત્યાં ભાગીને શું કામ કરવામાં આવે છે? ઘરનો ઝઘડો હોય એ ઘરમાં જ રહેવો જોઈએ. ન્યુઝ-ચૅનલમાં આ બધા સમાચાર આવતા હોવાથી મારું મન ખૂબ ભારે થઈ જાય છે એટલે મારી જાતને ટીવી ને સોશ્યલ મીડિયાથી દૂર કરી દીધી છે. ફક્ત એક જ વિચાર આવે છે કે બાળાસાહેબે આ બધું ક્યારેય થવા દીધું ન હોત.’


અન્ય શિવસૈનિક અમોલ પવારે જણાવ્યું હતું કે ‘હિન્દુત્વ અને મરાઠી માણૂસનું કવચ આ મુદ્દા પર જ શિવસેના બની છે. નિષ્ઠાવાન અને ઈમાનદાર શિવસૈનિકોએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો અમને આટલી મહેનત કર્યા પછી જોવા મળશે. બળવાખોરોની જે કંઈ નારાજગી હતી એ સામસામે ચર્ચા કરીને ઉકેલવી જોઈતી હતી. આજે અમારા જેવા શિવસૈનિકો કેવું અનુભવી રહ્યા છીએ એ શબ્દોમાં હું બોલી શકતો નથી એટલું દુ:ખ થઈ રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 10:51 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK