અનિલ પરબે બુધવારે સાંજે MSRTC કર્મચારીઓના પ્રતિનિધિમંડળ સાથે લાંબી બેઠક બાદ આ જાહેરાત કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
MSRTC કર્મચારીઓની લગભગ એક મહિનાની લાંબી હડતાલને સમાપ્ત કરવા માટે, મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબે બુધવારે પગાર વધારાની જાહેરાત કરી છે.
મૂળભૂત પગારમાં સરેરાશ રૂા. 2,500થી રૂા. 5,000નો વધારો એ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ, રાજ્ય સંચાલિત બસ સેવાના ‘ઇતિહાસમાં સૌથી વધુ’ હશે. તેમણે કર્મચારીઓને આંદોલન બંધ કરવા અપીલ કરતા જણાવ્યું હતું.
ADVERTISEMENT
પરબે બુધવારે સાંજે MSRTC કર્મચારીઓના પ્રતિનિધિમંડળ સાથે લાંબી બેઠક બાદ આ જાહેરાત કરી હતી.
“પગાર વધારો સેવાના વર્ષોના માપદંડ મુજબ આપવામાં આવશે અને તેનાથી રાજ્ય સરકાર પર માસિક રૂા. 60 કરોડનો અને વાર્ષિક રૂા. 750 કરોડનો બોજ પડશે.” એમ તેમણે જણાવ્યું હતું.
વિધાન પરિષદના ભાજપના સભ્યો સદાભાઉ ખોત અને ગોપીચંદ પડલકરે, જેઓ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે અને જેમણે પરબ સાથેની વાટાઘાટોમાં ભાગ લીધો હતો, તેમણે જણાવ્યું હતું કે “તેઓ સાંજે પછીથી હડતાળ પર તેમનું વલણ જાહેર કરશે.”
કર્મચારીઓની મુખ્ય માગ રોકડની તંગીવાળા કોર્પોરેશનને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની છે. આ હડતાલ 28 ઑક્ટોબરે શરૂ થઈ હતી અને 9 નવેમ્બરથી વધુ તીવ્ર બની હતી જ્યારે MSRTCના તમામ ડેપો બંધ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે પરબે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પણ ચર્ચા કરી હતી, જ્યાં મુખ્ય પ્રધાન તબીબી પ્રક્રિયા પછી સ્વસ્થ થઈ રહ્યા છે. ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જેમની પાસે નાણાંકીય પોર્ટફોલિયો છે, તેમની સાથે પણ ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને આપી હતી.