સેંકડો ટ્રેનો માટે અવરોધરૂપ કળવા લેવલ ક્રૉસિંગ શનિવારથી થયું બંધ
મધ્ય રેલવેની મેઇન લાઇન પર અનેક ટ્રેનોને અટકાવનારા કળવા લેવલ ક્રૉસિંગ ગેટને શનિવારે બંધ કરવામાં આવ્યો હતો
લગભગ રોજ અનેક લોકલ ટ્રેનોને અટકાવીને વિલંબિત કરનારા કળવા લેવલ ક્રૉસિંગ ગેટને છેવટે શનિવારે બંધ કરીને ટ્રેનોને ઝડપી ગતિએ દોડાવવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે શનિવારે ખૂલેલા નવા કળવા બ્રિજનું કામ અધૂરું છે, બ્રિજ પર લાઇટ્સ પણ બેસાડાઈ નથી તેમ જ બ્રિજના કામની ક્રેડિટ લેવા માટે રાજકારણીઓ વચ્ચે હોડ લાગી છે.
કળવા બ્રિજ અયોગ્ય આયોજનનો હિસ્સો છે. બ્રિજ રહેણાક વિસ્તારની વિરુદ્ધ દિશામાં ખૂલતો હોવાથી બ્રિજનો ઉપયોગ કરવા નાગરિકોએ લાંબું અંતર કાપીને આવવું પડે છે. જોકે એમ છતાં આ બ્રિજ મદદરૂપ તો છે જ. વાસ્તવમાં કળવા ગેટ મેઇન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યો હતો. એ વખતે શહેરના નાગરિકોએ ૧૨ ડિસેમ્બરે જાતે જ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.
મુસાફરોના સૌથી જૂના અને મોટા અસોસિએશન મુંબઈ રેલ પ્રવાસી સંઘના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધેશ દેસાઈએ કહ્યું હતું કે બ્રિજનું ખરું શ્રેય સુધરાઈના અધિકારીઓની પાછળ પડીને બ્રિજનું કામ પૂર્ણ કરાવનારા નાગરિકોને જાય છે.
અન્ય એક નાગરિકે કહ્યું હતું કે ‘બ્રિજને ૨૦૦૬માં મંજૂરી આપવામાં આવી હતી અને રેલવેએ ૨૦૧૭માં એનું કામ પૂરું કર્યું હતું, જે માટે જમીન સંપાદન અને અન્ય મુદ્દાઓમાં થયેલો વિલંબ કારણભૂત હતો. બ્રિજ તૈયાર હોવા છતાં હજી કામ અધૂરું છે. હજી સુધી લાઇટ પણ લગાવવામાં આવી નથી. એ ખૂબ જ શરમજનક બાબત છે કે સ્થાનિક રાજકારણીઓએ એનું ઉદ્ઘાટન કર્યું અને તેઓ ક્રેડિટ માટે પણ લડી રહ્યા છે.’
થાણેના નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પુલને હજી અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં પુલ પર લાઇટ અને અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. સેન્ટ્રલ રેલવે અને થાણે સિવિક બૉડી વચ્ચે ૫૦:૫૦ ખર્ચની વહેંચણી હેઠળ કામ કરવામાં આવ્યું છે.’
મધ્ય રેલવેના પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે ‘ખારેગાંવ રોડ ઓવરબ્રિજ શરૂ થવા સાથે જ કળવા લેવલ ક્રૉસિંગ ફાટક કાયમી ધોરણે બંધ થઈ ગયું છે, જે લોકલ ટ્રેનની ઝડપી કામગીરી માટે માર્ગ મોકળો કરે છે.’