શરૂઆતમાં પોલીસને પૈસાને લીધે રવીન્દ્ર માંડોટિયાનું મર્ડર થયું હોવાનું લાગ્યું હતું, પણ આરોપીની વધારે પૂછપરછ કરતાં તે મરનારની પત્નીના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું, પોલીસે તેની પણ ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં એક યુવકની નિર્દયપૂર્વક હત્યા કરી તેના હાથ-પગ એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા એ હત્યાનો કેસ પોલીસે ત્રણ દિવસમાં ઉકેલીને હત્યા કરનાર તેના મિત્રની ધરપકડ કરી હતી. ધરપકડ કરેલા મિત્ર પાસેથી મળેલી માહિતીની ઊલટતપાસ કરતાં હત્યામાં મરનારની પત્ની પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે જેના આધારે એપીએમસી પોલીસે મરનારની પત્નીની પણ ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે ‘એપીએમસી માર્કેટના માથાડી ચોક પાસે માનવઅંગો ભરેલી પ્લાસ્ટિક બૅગ ગટરમાં ફેંકી દેવાઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે વધુ માહિતી મેળવતાં કોપરખૈરણેમાં રહેતા રવિ ઉર્ફે રવીન્દ્ર રમેશ માંડોટિયાની હત્યા થઈ હોવાનું પુરવાર થયું હતું અને હત્યાના આરોપમાં રવીન્દ્રના મિત્ર સુમીત ચૌહાણની ત્રણ દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુમીતે પ્રાથમિક માહિતીમાં પોલીસને જણાવ્યું હતું કે મેં તેની પાસેથી લીધેલા ૧૭,૦૦૦ રૂપિયા રવીન્દ્ર વારંવાર માગી રહ્યો હોવાથી મેં તેની હત્યા કરી હતી. જોકે પોલીસે બારીકાઈપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હત્યા સુમીતના ઘરે નહીં, પણ રવીન્દ્રના ઘરે થઈ હતી અને એની જાણ રવીન્દ્રની પત્નીને પણ હતી.
ADVERTISEMENT
એપીએમસીના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં અમે સુમીતની ધરપકડ કરીને પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે સુમીતે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે રવીન્દ્ર પાસેથી તેણે ૧૭,૦૦૦ રૂપિયા લીધા હતા જે રવીન્દ્ર વારંવાર માગતો હોવાથી તેની હત્યા કરી હતી, પરંતુ ૧૭,૦૦૦ રૂપિયા માટે હત્યા થાય એ વાત અમારા ગળે ઊતરી નહોતી એટલે અમે તેની ઊલટતપાસ હાથ ધરી હતી. એ પછી જે-જે વાત સુમીતે અમને કરી હતી એના પર અમે બારીકાઈથી તપાસ કરી હતી જેમાં અમે તેને પકડી પાડ્યો હતો. આરોપીએ કહ્યું હતું કે તેણે પોતાના ઘરે રવીન્દ્રની હત્યા કરી હતી. જોકે તેનો કૉલ-ડેટા કાઢતાં અમને જાણવા મળ્યું કે એ વખતે તે પોતાના ઘરે હતો જ નહીં. ત્યાર બાદ અમે તની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે હત્યા રવીન્દ્રના ઘરે જ કરવામાં આવી હતી. ૯ સપ્ટેમ્બરે તે રવીન્દ્રના ઘરે ગયો ત્યારે તેણે રવીન્દ્રની પત્ની અનામિકાને બાળકો સાથે બહાર જવા માટેનો ઇશારો કર્યો હતો. ત્યાર બાદ રવીન્દ્ર અને સુમીતે દારૂ પીધો હતો. ત્યાર બાદ તેના ઘરમાં રાખેલા ચોપરથી તેની હત્યા કરી હતી અને ઘર ચોખ્ખું કર્યા બાદ તેણે ત્રણેય પાર્ટને ઠેકાણે પાડ્યા હતા અને ત્યાર બાદ રવીન્દ્રની પત્ની અને બાળકોને ઘરે પાછાં બોલાવી લીધાં હતાં અને બે દિવસ બાદ તેને પતિના મિસિંગની ફરિયાદ કોપરખૈરણે પોલીસ-સ્ટેશનનમાં કરવાનું કહ્યું હતું.’
અમે આ હત્યાના કેસમાં બેથી ત્રણ ઍન્ગલથી તપાસ કરી રહ્યા છીએ. હવે આ કેસમાં રવીન્દ્રની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને મરનારની પત્ની છેલ્લા આઠેક મહિનાથી એકબીજાના સંપર્કમાં હોવાથી તેમના સંબંધો તો આ હત્યા પાછળ કારણભૂત નથીને એે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ.
- વિકાસ રામગુડે, એપીએમસીના સિનિયર ઇસ્પેક્ટર