વિરારના જીવદાની મંદિર જવા માટે શરૂ થશે રાજ્યની પહેલી ફનિક્યુલર ટ્રેન
વિરારના જીવદાની મંદિરે ટૂંક સમયમાં ફનિક્યુલર ટ્રેનની સુવિધા ભક્તોને મળી રહેશે.
વિરાર-ઈસ્ટમાં આવેલા પ્રખ્યાત જીવદાની મંદિરમાં પાલઘર જિલ્લાથી નહીં પણ મુંબઈભરથી અને વિવિધ રાજ્યથી ભક્તો દર્શને આવતા હોય છે. અનેક ભક્તો વિદેશથી પણ અહીં જીવદાની માતાનાં દર્શને આવે છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધા માટે મંદિરે પહોંચવા ફનિક્યુલર ટ્રેન પ્રોજેક્ટને પરવાનગી મળી છે. એથી ટૂંક સમયમાં ભક્તોને આ સુવિધા મળી રહશે અને હાલમાં એની ટ્રાયલ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્ય આકર્ષણ અને શ્રદ્વાસ્થાનમાંના એક વિરારના જીવદાની મંદિર પહોંચવા માટે ૧૪૦૦ પગથિયાં ચડવા પડતાં હોય છે અને મંદિર આશરે ૧૫૦૦ મીટરની ઊંચાઈએ છે. મંદિરમાં જવા હાલમાં નાની ટ્રૉલીની સુવિધા છે પરંતુ અહીં ભક્તોની ભીડ એટલા પ્રમાણમાં હોય છે કે ટ્રૉલી મારફત જવા લાંબી લાઇનમાં બેસી રહેવું પડે છે. નવરાત્રિ, દિવાળી, દશેરા જેવા તહેવારોમાં બેથી ત્રણ લાખ સુધી ભક્તો દર્શન કરવા આવતા હોય છે. આ બધી બાબતને ધ્યાનમાં લઈને ફનિક્યુલર ટ્રેનની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા ખૂબ ઓછી જગ્યાએ છે, પરંતુ વિરારની આ ટ્રેનની હાઈ કૅપેસિટી સાથે ઓછા ખર્ચે બનેલી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે ૩૨થી ૩૫ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ થયો હોવાથી જીવદાની દેવી મંદિર ટ્રસ્ટ દ્વારા એ ઉપાડવામાં આવ્યો છે. ખૂબ ઓછા ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમ જ રેલ ઇન્ડિયા ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક સર્વિસ આ કંપની દ્વારા પ્રોજેક્ટનો સર્વે પણ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જીવદાની દેવી મંદિર ટ્રસ્ટના સચિવ પ્રદીપ તેન્ડુલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ પર ખૂબ બારીકાઈથી ધ્યાન અપાયું છે, કારણ કે લાખો ભક્તો એનો ઉપયોગ કરશે. એક સમયે ૧૦૪ ભક્તો એક ટ્રેનમાં બેસી શકે છે. એક રાઉન્ડ માટે ટ્રેનને સાત મિનિટની આસપાસ લાગે છે અને કલાકની અંદર ૧૨ રાઉન્ડ મારી શકશે એટલું જ નહીં, પરંતુ આખા દિવસમાં ૧૨થી લઈને ૧૪ કલાક આ ટ્રેન દોડી શકશે. તેમ જ વીજળી પર ચાલનારી હોવાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થશે નહીં. તેમ જ દુર્ભાગ્યે કોઈ દુર્ઘટના બની તો ભક્તોને કોઈ નુકસાન થશે નહીં, કારણ કે આ ટ્રેન હાઇડ્રોલિક પદ્વતિથી બ્રેક મારતાં જગ્યા પર ઊભી રહી જાય છે.’