Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગાર્મેન્ટવાળાઓએ પોતાની વર્ષો જૂની લોકલ ટ્રેન પાછી મેળવવા કમર કસી

ગાર્મેન્ટવાળાઓએ પોતાની વર્ષો જૂની લોકલ ટ્રેન પાછી મેળવવા કમર કસી

26 November, 2022 08:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાત્રે ૯.૨૬ વાગ્યે દાદરથી ઊપડતી વિરાર લોકલ ફરી શરૂ કરાવવા વેસ્ટર્ન રેલવેને આવેદનપત્ર આપ્યું

દાદર માર્કેટની દુકાનોના સ્ટાફ દ્વારા રેલવેના અધિકારીની મુલાકાત લેવાઈ હતી. Local Train

દાદર માર્કેટની દુકાનોના સ્ટાફ દ્વારા રેલવેના અધિકારીની મુલાકાત લેવાઈ હતી.



મુંબઈ : વેસ્ટર્ન રેલવેમાં પહેલી ઑક્ટોબરથી ટાઇમટેબલ બદલાયા બાદ પ્રવાસીઓને અનેક પ્રકારની સમસ્યા ભોગવવી પડે છે. લોકલ ટ્રેનના સમયમાં અંતર વધી જવાથી નૉન-એસી ટ્રેનના પ્રવાસીઓ દરરોજ ભીડનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ પીક અવર્સમાં અનેક વખત ટેક્નિકલ ખામી સર્જાતાં લોકલ ટ્રેન સમય કરતાં મોડી દોડતાં પ્રવાસીઓને વધુ ભીડ વચ્ચે પ્રવાસ કરવો પડે છે. એવામાં દાદરથી છૂટતી ૯.૨૬ વાગ્યાની દાદર-વિરાર લોકલ ટ્રેન, જેમાં દાદર માકેર્ટની મોટા ભાગની હોલસેલ-રીટેલ શૉપનો સ્ટાફ, વેપારીઓ પ્રવાસ કરતા હતા. જોકે ટાઇમટેબલ બદલાયા બાદ એ અચાનક બંધ થઈ જતાં પ્રવાસીઓને અન્ય લોકલ ટ્રેનમાં ચડવા મળતું ન હોવાથી આ લોકલ ટ્રેનને ફરી શરૂ કરાવવા તેઓ મેદાન પડ્યા છે. 
દાદર માર્કેટની હોલસેલ-રીટેલ દુકાનોના મોટી સંખ્યામાં કર્મચારીઓ, સ્ટાફ, વેપારી વર્ગ આ લોકલ ટ્રેન પકડીને વિરાર, નાલાસોપારા, વસઈ, નાયગાવ, ભાઈંદર, મીરા રોડ, દહિસર વગેરે ઠેકાણે પ્રવાસ કરતા હોય છે. આ સમયે ચર્ચગેટથી આવતી ટ્રેનોમાં દાદરથી પ્રવાસીઓને બેસવા કે અમુક વખત ચડવા પણ મળતું નથી. એથી રદ કરેલી ૯.૨૬ની લોકલ ટ્રેન ફરી શરૂ કરવાની માગણી સાથે બુધવારે મોટી સંખ્યામાં કર્મચારીવર્ગે વેસ્ટર્ન રેલવેની મુલાકાત લઈને આવેદનપત્ર આપ્યું હતું. આ વિશે માહિતી આપતાં હિરેન મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે પોતે અને અમારી સાથે આવતા પાંચસોથી પણ વધારે લોકો ૩૦થી ૪૦ વર્ષથી આ લોકલમાં પ્રવાસ કરતા હતા. મારા વડીલ પણ આ ટ્રેનમાં જ પ્રવાસ કરતા હતા. જોકે સમયપત્રક બદલાતાં અમારી કફોડી હાલત થઈ ગઈ છે. આ લોકલ ટ્રેન રદ થતાં આ ​સમયે દાદરથી બીજી કોઈ વિરાર લોકલ ટ્રેન નથી, જેથી ચર્ચગેટથી આવતી લોકલ ટ્રેન પકડવી પડે છે, પરંતુ એ પહેલાંથી જ પૅક થઈને આવતી હોવાથી અમને ચડવા પણ મળતું નથી. આખા દિવસના થાકેલા પ્રવાસીઓ આવી ગિરદીમાં કેવી રીતે પ્રવાસ કરે? ઘરે મોડું પહોંચાતું હોવાથી લાઇફસ્ટાઇલ પર અસર થવા લાગી છે. એથી આ લોકલ ટ્રેન ફરી શરૂ કરવાની માગણી સાથે અમે ૧૫૦ જણ ચર્ચગેટ પર વેસ્ટર્ન રેલવેના સેક્રેટરી સચિન શર્માની મુલાકાત લીધી હતી. તેમણે અમારી રજૂઆત સાંભળીને નિવેદનને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.’
દરમ્યાન, દહાણુ વૈતારણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જ્યારથી લોકલ ટ્રેનોના ટાઇમટેબલમાં બદલાવ આવ્યો છે ત્યારથી જ પ્રવાસ કરતાં અમારા નાકે દમ આવી ગયો છે. સમય કરતાં ટ્રેનો મોડી દોડતી હોવાને કારણે પ્રવાસીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી દહાણુથી વિરાર માટે ૭.૦૫ વાગ્યાની લોકલ ટ્રેન ફરી શરૂ કરવાની પણ અમે માગણી કરી છે. વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ નીરજ વર્મા સમક્ષ આ બધી વાત મૂકી હોવાથી તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK