મહારાષ્ટ્રના થાણે શહેરના ૧૭ માળના રહેણાક બિલ્ડિંગના ડક્ટમાં મંગળવારે સવારે આગ લાગી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના થાણે શહેરના ૧૭ માળના રહેણાક બિલ્ડિંગના ડક્ટમાં મંગળવારે સવારે આગ લાગી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (આરડીએમસી)ના વડા અવિનાશ સાવંતે આપેલી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને ૭૦થી ૭૫ રહીશોને આનંદનગર વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
બિલ્ડિંગના ૧૩માથી ૧૭મા માળના ડક્ટના ઇલેક્ટ્રિક કેબલમાં સવારે ૮.૨૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આરડીએમસી અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ ઓલવી દેવાઈ હતી. આગ લાગવા પાછળનું કારણ હજી જાણવા ન મળ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.