૧૯૯૭માં બંધાયેલા ૨૧ માળના જીવેશ ટાવરના ૧૩મા અને ૧૪મા માળના ડુપ્લેક્સમાં સોમવારે સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે આગ લાગી હતી અને થોડા જ સમયમાં લેવલ-૨ની તીવ્રતાએ પહોંચી હતી
જીવેશ ટાવર
બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડમાં અભિનેતા શાહરુખ ખાનના બંગલા મન્નત નજીક આવેલા જીવેશ ટાવરને ગઈ કાલે મુંબઈ ફાયર બ્રિગેડે નોટિસ આપી હતી. વાસ્તવમાં સોમવારે સાંજે આ ટાવરમાં આગ ફાટી નીકળી ત્યારે એની ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ કરી રહી ન હોવાથી ફાયર ફાઇટર્સે આગ પર કાબૂ મેળવવા ભોંયતળિયેથી પાઇપ દ્વારા પાણી ૧૪મા માળ સુધી લઈ જવું પડ્યું હતું. ફાયર ઑફિસરે જણાવ્યું હતું કે ટાવરમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ઉપકરણો ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ એ કામ કરી નહોતાં રહ્યાં. ગરમી અને ધુમાડો ઓછો થયા બાદ ફાયર ઑફિસરોએ જીવેશ ટાવરના ઉપરના માળે ફસાયેલા રહેવાસીઓને સુરિક્ષત સ્થળે ખસેડ્યા હતા.
૧૯૯૭માં બંધાયેલા ૨૧ માળના જીવેશ ટાવરના ૧૩મા અને ૧૪મા માળના ડુપ્લેક્સમાં સોમવારે સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે આગ લાગી હતી અને થોડા જ સમયમાં લેવલ-૨ની તીવ્રતાએ પહોંચી હતી. જો ટાવરની ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ હોત તો ફાયર ફાઇટર્સ એ જ માળ પરથી પાઇપથી પાણી લઈને આગ પર કાબૂ મેળવી શક્યા હોત જેમાં સમયની પણ બચત થાત. જોકે તેમણે ભોંયતળિયેથી પાણી ઉપર લઈ જવું પડ્યું હતું. વધુમાં પગથિયાં સર્પાકાર હોવાથી પાણીનું પ્રેશર આવવામાં પણ સમય લાગ્યો હતો એમ ફાયર બ્રિગેડના ચીફ હેમંત પરબે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આઠ ફાયર એન્જિન અને સાત વૉટર ટૅન્કર ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને લગભગ બે કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ઘટનામાં ગૂંગળામણને કારણે એક ફાયર ફાઇટરને ઈજા થઈ હતી.