શરદ પવારે કહ્યું કે શિંદેએ પણ નહીં વિચાર્યું હોય કે તેમને સીએમનું પદ મળશે
ફાઇલ તસવીર
રાજ્યના મુખ્ય પ્રધાનપદે એકનાથ શિંદેએ અને નાયબ મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસે સોગંદ લીધા બાદ એનસીપીના વડા શરદ પવારે પ્રેસ કૉન્ફરન્સ લીધી હતી. શરદ પવારે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘શિવસેનાના જે વિધાનસભ્યો ગુવાહાટી ગયા હતા તેમની માગણી નેતૃત્વ બદલવાની હતી. એટલું જ નહીં, તેમના નેતા એકનાથ શિંદેએ પણ ડેપ્યુટી સીએમ કરતાં વધુ ઊંચું પદ તેમને મળે એવી ધારણા રાખી હોય એવું મને લાગતું નથી. એકનાથ શિંદેને સીએમ બનાવાશે એવી કલ્પના કદાચ તેમને પણ નહીં હોય.
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘એક વાર પાંચ વર્ષ સુધી મુખ્ય પ્રધાનપદે રહ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લેવા પડ્યા. તેમણે પાર્ટીના અધ્યક્ષે આપેલા આદેશોનું પાલન કર્યું હતું. એક વાર આદેશ આવે એટલે પાળવો જ પડે એ દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું. આરએસએસના સંસ્કારોને કારણે તેમણે આ પદભાર સ્વીકાર્યો છે. જોકે એ વખતે તેમના ચહેરા પર ખુશીનો અભાવ હતો. એક વાર મુખ્ય પ્રધાનનો પદભાર સ્વીકાર્યા પછી એ જ રાજ્યની બીજી વખતની સરકારમાં એનાથી ઓછો હોદ્દો સ્વીકારાયો હોય એવું આ પહેલાં પણ બન્યું છે. શંકારરાવ ચવાણ અને અન્યો સાથે આવું બન્યું છે. એથી દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવાયા એમાં મને કોઈ આશ્ચર્ય થયું નથી. મેં એકનાથ શિંદેને શુભેચ્છાઓ આપી છે. મને આશા છે કે રાજ્યની જનતાની સમસ્યાઓનો તેઓ ઉકેલ લાવશે.’