કલ્યાણના ભણેલાગણેલા પણ બેકાર યુવાનની જિજ્ઞાસા પોલીસ માટે બની ગઈ સજા
કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ૧૫ સપ્ટેમ્બરે એક નનામો ફોન આવ્યો હતો.
કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ૧૫ સપ્ટેમ્બરે એક નનામો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે માર્કેટની એક કચરાપેટીમાં બૉમ્બ મુકાયો છે. એથી તરત જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. એમાં પાછો માર્કેટનો વિસ્તાર હતો એટલે બહુ મોટી ખાનાખરાબી થઈ શકે એવી દહેશત હોવાથી તરત જ પગલાં લેવાયાં હતાં. એટલું જ નહીં, સ્નિફર ડૉગ સાથે પણ આખા વિસ્તારની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસના અંતે કશું પણ શંકાસ્પદ મળ્યું નહોતું. આરોપીને ટ્રૅક કરી તેને તાબામાં લઈને કરાયેલી પૂછપરછના અંતે એવું જાણવા મળ્યું હતું કે જો બૉમ્બ મુકાયાનો ફોન જાય તો પોલીસ કઈ રીતે તપાસ કરે છે એ જાણવામાં તેને રસ હતો. માત્ર એ ખાતર તેણે ફોન કર્યો હતો અને પોલીસને દોડતી કરી દીધી હતી.
આ કેસ વિશે માહિતી આપતાં કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. દેશમુખે કહ્યું હતું કે ‘કલ્યાણ-ઈસ્ટમાં રહેતો આ યુવાન આમ તો ભણેલો-ગણેલો છે, પણ હમણાં બેકાર છે. તેના પિતા રેલવેમાં જૉબ કરે છે. તેણે અમને તેના જ ફોનથી ઇમર્જન્સી નંબર ૧૧૨ પર કૉલ કરીને બૉમ્બ મુકાયો હોવાની જાણ કરી હતી. ૧૧૨ પર કરાયેલા એ કૉલની ડીટેલ અમને તરત જ મળી ગઈ હતી. એથી એ પછી મોબાઇલ ટ્રૅક કરીને અમે તેને ઝડપી લીધો હતો. હાલ તેની સામે અમે અદખલપાત્ર ગુનો નોંધીને પ્રિવેન્ટિવ ઍક્શન હેઠળ તેને નોટિસ આપી છે.’
ADVERTISEMENT
ઝવેરી બજારમાં બૉમ્બ મુકાયો છે એવો ખોટો ફોન કરનાર યુવાનને પોલીસે પકડ્યો
ઝવેરી બજારમાં બૉમ્બ મુકાયો હોવાનો નનામો કૉલ મુંબઈ પોલીસને મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બીડીડીએસની મદદ લઈને બૉમ્બ શોધવાની કોશિશ પણ કરાઈ હતી. જોકે કશું મળી આવ્યું નહોતું. એલ. ટી. માર્ગ પોલીસે ત્યાર બાદ એ કૉલ કરનારને સામે કૉલ કર્યો હતો, પણ તે ફોન કટ કરતો હતો. થોડા પ્રયાસો બાદ પોલીસને સફળતા મળી હતી. મોબાઇલનું લોકેશન ટ્રૅક કરીને કાલબાદેવીમાંથી જ પોલીસે તેને ઝડપીને પૂછ્યું હતું કે બૉમ્બ ક્યાં મુકાયો છે એ કહે. આ યુવાન દિનેશ સુતાર મૂળ સોલાપુરનો છે. તેનું હાલમાં જ બ્રેક-અપ થયું છે. તેણે પહેલાં થોડો સમય કાલબાદેવીની બદામવાડીમાં આવેલી એક દુકાનમાં કામ કર્યું હતું. એથી એ દુકાનના ઓટલા પર તે સૂઈ રહેતો હતો.