વિરોધ પ્રદર્શનમાં પંકજા મુંડેની ઑફિસ પરની ભીડ દ્વારા કોરોનાના નિયમોનો ભંગ : એફઆઇઆર દાખલ કરાઈ છે
વિરોધ પ્રદર્શનમાં પંકજા મુંડેની ઑફિસ પરની ભીડ દ્વારા કોરોનાના નિયમોનો ભંગ : એફઆઇઆર દાખલ કરાઈ છે
બીજેપીનાં નેતા પંકજા મુંડેની વરલીમાં આવેલી ઑફિસ ખાતે કોવિડ સંબંધિત નિયંત્રણોનો ભંગ કરવા બદલ જાહેર કાર્યક્રમના આયોજકો સહિત ૪૨ વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આયોજકો અને કાર્યક્રમમાં ભાગ લેનારી વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૮૮ અને ૨૬૯ ઉપરાંત ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની અધિકારીએ જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પંકજા મુંડેનાં બહેન અને સંસદસભ્ય પ્રીતમ મુંડેને તાજેતરમાં કેન્દ્રીય કૅબિનેટમાં થયેલા ફેરફારોમાં સ્થાન ન મળ્યા બાદ પંકજા મુંડેના સમર્થકો તેમનું સમર્થન દર્શાવવા માટે વરલીમાં આવેલી પંકજા મુંડેની ઑફિસ ખાતે એકઠા થયા હતા.
ટેકેદારોને સંબોધતાં બીજેપીનાં રાષ્ટ્રીય સચિવ અને ભૂતપૂર્વ રાજ્યકક્ષાનાં પ્રધાન પંકજા મુંડેએ તેઓ દબાણ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડા તેમના નેતા હોવાનું જણાવ્યું હતું.