આ કેસ મામલે ગયા વર્ષે પહેલી નવેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનની ધરપકડ કરાઈ હતી અને હાલ તેઓ જુડિશ્યલ કસ્ટડીમાં છે
અનિલ દેશમુખ
અહીંની સ્પેશ્યલ કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખ અને તેમના બે પુત્રો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની દખલ લીધી હતી. સ્પેશ્યલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ કોર્ટના ન્યાયાધીશ આર. એન. રોકડેએ ચાર્જશીટની દખલ લીધા બાદ આરોપીઓ વિરુદ્ધ પ્રક્રિયા જારી કરી હતી.
ગયા ડિસેમ્બર મહિનામાં ઈડીએ આ કેસ મામલે ૭૦૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. અનિલ દેશમુખ ઉપરાંત તેમના પુત્રોનાં નામ પણ કેસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં. આ અગાઉ તપાસકર્તા સંસ્થાએ અનિલ દેશમુખના પ્રાઇવેટ સેક્રેટરી સંજીવ પાલાન્ડે અને પર્સનલ અસિસ્ટન્ટ કુંદન શિન્દે સહિત ૧૪ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ મામલે ગયા વર્ષે પહેલી નવેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનની ધરપકડ કરાઈ હતી અને હાલ તેઓ જુડિશ્યલ કસ્ટડીમાં છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ભ્રષ્ટાચાર અને સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરવાના આરોપસર એનસીપીના નેતા અને તેમના સાથીઓ સામે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઈડીએ તેમની વિરુદ્ધ તપાસ આદરી હતી.