ગઈ કાલે મુંબઈમાં ૩ દરદીનાં મૃત્યુ થયાં હતાં
ફાઈલ તસવીર
શહેરમાં ગઈ કાલે ૪૦,૪૪૩ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૦૭ ટકા પૉઝિટિવિટી સાથે ૪૩૪ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં ૩ દરદીનાં મૃત્યુ થયાં હતાં. તમામ મૃતકો સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૦૪૨ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૩૮૭ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૭,૧૬૪ કેસમાંથી ૭,૧૩,૯૯૨ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધીને ૪,૬૫૮ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર સહેજ વધારા સાથે ૧,૨૮૯ દિવસ થયો છે. ગઈ કાલે એક પણ સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી. ગઈ કાલે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૩૮ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૨૨ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૨૧ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.