એપીએમસી માર્કેટ થશે ટોટલ અનલૉક
APMC માર્કેટ
નવી મુંબઈની એપીએમસી માર્કેટ માટે આનંદના સમાચાર છે. માથાડી કામદાર અને સુરક્ષારક્ષકોનો અત્યાવશ્યક સેવામાં સમાવેશ કરાયો છે. એટલું જ નહીં, તેમને કોવિડ-19 સંદર્ભે વીમા કવચ આપવાનો નિર્ણય રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારે મંત્રાલયમાં થયેલી બેઠકમાં લીધો છે. વળી તેમને ક્યુઆર કોડવાળા ઈ-પાસ પણ આપવામાં આવશે, જેથી તે લોકો ટ્રેનમાં પણ અવરજવર કરી શકશે. એથી એપીએમસીને પૂરેપૂરી રીતે અનલોક કરવાની પ્રક્યારિને વેગ મળ્યો છે. રોજેરોજ લોડિંગ-અનલોડિંગ ચાલુ કરવાનો નિર્ણય પણ આવતા બુધવારે થનારી બેઠકમાં નક્કી થાય એવી શક્યતા છે. દાણાબંદર સહિતનાં બજારોમાં આના કારણે ખુશીનું વાતાવરણ છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાનીમાં લેવાયેલી બેઠકમાં કામગાર પ્રધાન દિલીપ વળસે પાટીલ તેમ જ નાણા ખાતા, કામગાર ખાતા અને ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત માથાડી, ટ્રાન્સપોર્ટ અને જનરલ કામગાર નેતા નરેન્દ્ર અણ્ણાસાહેબ પાટીલ, વિધાનસભ્ય શશિકાંત શિંદે, સુરક્ષારક્ષક યુનિયનના અજિંક્ય ભોસલે અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
રાજ્ય સરકારે કોવિડ-19 સદર્ભે જે રીતે ડૉક્ટર, નર્સ, પોલીસ અને પાલિકા-કર્મચારીઓની જેમ માથાડી કામગાર અને સુરક્ષારક્ષકોને પણ અત્યાવશ્યક સેવામાં ગણી તેમને ક્યુઆર કોડવાળા ઈ-પાસ આપશે. જે રીતે તેમને વીમાનું કવચ આપવામાં આવ્યું છે એ રીતે માથાડી કામગાર અને સુરક્ષારક્ષક અને અન્ય ઘટકોને આ વીમા કવચનો લાભ આપવામાં આવશે. એ ઉપરાંત રાજ્ય સરકારના કામગાર વિભાગે માથાડી કામગાર મંડળના રિઝર્વ્ડ ફન્ડમાંથી ૫૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ સૂચના આપી છે.
એપીએમસીમાં રીટેલ ખરીદી થઈ શકશે
એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં જ કરાયેલા એક સર્વેમાં હોલસેલ અને રીટેલના ભાવમાં બહુ મોટો તફાવત જોવા મળ્યો હતો, જેના કારણે ગ્રાહકોને માર પડતો હતો. એથી હવે લોકો એપીએમસીમાંથી રીટેલમાં પણ ખરીદી કરી શકશે. પહેલાં રીટેલ ગ્રાહકોને આવવા પર બંધી મુકાઈ હતી. જો રીટેલ ગ્રાહકો માર્કેટમાં આવે તો ક્રાઉડ બહુ જ વધી જાય અને તેમને મૅનેજ કરવાનું મુશ્કેલ થઈ પડે, પણ હાલની પરિસ્થિતિ જોતાં ટ્રેનો બંધ છે, માત્ર બસમાં, એમાં પણ હાલમાં લિમિટેડ સીટ ફાળવવામાં આવી છે અને જે ગ્રાહકો પોતાની કાર, રિક્ષા, ટૅક્સીમાં આવે એ જ પહોંચી શકે એમ છે. એથી હાલ તેમની સંખ્યા પણ ઓછી રહેવાની, પણ તે લોકો પણ હવે હોલસેલ માર્કેટમાંથી વાજબી ભાવે રીટેલમાં ખરીદી કરી શકશે.’
નાના ગેટ ખોલી નખાયા
એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરાએ કહ્યું છે કે ‘કોરોનાના કારણે લેવાયેલાં સાવચેતીનાં પગલાં હેઠળ દાણાબંદરમાં આવવા-જવા પહેલાં માત્ર મેઇન ગેટનો જ ઉપયોગ કરવો પડતો હતો. એથી માણસોની અવરજવર થઈ શકે એવા વચ્ચેના નાના ગેટ બંધ કરી દેવાયા હતા, જેના કારણે અનેક વેપારીઓને લાંબું ચક્કર મારીને દુકાને પહોંચવું પડતું હતું, પણ હવે એ, બી, એલ અને કે ગલીના નાના ગેટ ખોલી દેવાયા છે. સી ગલીનો પણ પાછળની બાજુએ બૅન્કની સામેનો ગેટ ખોલી દેવાયો છે. આ બધા ગેટ સવારના ૯થી સાંજના ૭ સુધી ખુલ્લા રહેશે. આ ગેટથી વાહનોને પરવાનગી નથી. દરેક ગેટ પર એનજીઓના માણસો ચેકિંગ માટે બેસશે. બધા વેપારીભાઈઓ, દલાલભાઈઓ, ગ્રાહકો અને કર્મચારીઓને સહકાર આપવા અનુરોધ કરાયો છે.