શહેરના જાહેર પરિવહનમાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે
નિયંત્રણોએ કરી પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત
કોરોનાનો પ્રસાર વધતાં લાદવામાં આવેલાં નવાં નિયંત્રણોની અસરરૂપે શહેરના જાહેર પરિવહનમાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે રેલવેના આંકડાઓ પરથી સૂચિત થાય છે કે રેલવેમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યામાં રોજનો બે લાખનો અને બેસ્ટના મુસાફરોની સંખ્યામાં પ્રતિદિન ૪ લાખનો ઘટાડો નોંધાયો છે.
પશ્ચિમ રેલવે પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર મુસાફરોની સંખ્યામાં મંગળવારથી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે પાંચમી એપ્રિલ સુધી રોજના લગભગ ૧૫ લાખ (કુલ ૧૫,૪૮,૮૪૬) કરતાં વધુ મુસાફરો પ્રવાસ કરતા હતા, જે ૭ એપ્રિલે ઘટીને ૧૪ લાખ જેટલા (કુલ ૧૪,૬૦,૪૧૨) હતા. મધ્ય રેલવેમાં પણ મુસાફરોની સંખ્યામાં રોજના બેથી ત્રણ લાખનો ઘટાડો નોંધાતાં સરેરાશ પ્રવાસી મુસાફરોની સંખ્યા ૨૨ લાખથી ઘટીને ૧૯ લાખ થઈ હતી.
બેસ્ટની વાત કરીએ તો પહેલી એપ્રિલે ૨૩,૪૦,૯૬૮ મુસાફરો સામે ૬ઠ્ઠી એપ્રિલે ૨૦,૩૭,૨૪૮ મુસાફરો પ્રવાસ કરતા હતા.
હાલમાં કોરોનાવાઇરસના ઉછાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં લોકલ ટ્રેન પર કોઈ પ્રકારના પ્રતિબંધ લાદવામાં આવ્યા નથી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે પણ કોઈ વિશેષ નિયંત્રણો કે નિયમનો લાગુ કર્યાં નથી. ખાનગી ઑફિસો, દુકાનો વગેરે બંધ કરવાથી મુંબઈની લોકલ ટ્રેન પરનો ભાર હળવો થયો છે.
સોમવારે જાહેર કરેલા બ્રેક ધ ચેઇનનાં નિયંત્રણોમાં મુસાફરોના પ્રવાસના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એમ જણાવતાં અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે વીક-એન્ડના દિવસે ઑફિસથી પાછા ફરી રહેલા ઉતારુઓ માન્ય ટિકિટ સાથે રેલવેમાં પ્રવાસ કરી શકે છે.
પશ્ચિમ રેલવેની એ.સી. લોકલમાં પહેલી એપ્રિલે રોજના ૬૦૦૦ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા, જે ૭ એપ્રિલે ઘટીને 2032 હતા.
મધ્ય રેલવેમાં એ.સી. લોકલમાં પહેલી એપ્રિલે રોજના ૧૧૬૩ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા, જે ૭ એપ્રિલે લગભગ ૫૦ ટકા જેટલા ઘટીને 579 હતા.