બીએમસીની ચૂંટણી માટે વૉર્ડનું માળખું તૈયાર કરતી વખતે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોને વિશ્વાસમાં ન લીધા હોવાથી કોર્ટમાં જવાની પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખે આપી ધમકી
શિવસેનાની સામે કૉન્ગ્રેસે નોંધાવ્યો સત્તાવાર વિરોધ
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોળેએ બુધવારે જણાવ્યું હતું કે બીએમસીની ચૂંટણીઓ પહેલાં વૉર્ડનું માળખું તૈયાર કરતી વખતે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. તેમણે બીએમસીમાં વૉર્ડના માળખા મામલે પક્ષની નારાજગી વિશે નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી હતી.
નાના પટોળેએ જણાવ્યું હતું કે ‘જ્યારે ગઠબંધનની સરકાર હોય ત્યારે સાથી પક્ષો સાથે મળીને વૉર્ડનું માળખું રચે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે આપણે સૌ સાથે હોઈએ ત્યારે એક મિત્રને નુકસાન થાય એવું કરવું યોગ્ય નથી. આથી સ્થાનિક કૉન્ગ્રેસના ઑફિસ-બેરર્સે તેમની નારાજગી વ્યક્ત કરી છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ હોય કે પુણે, જો મહાવિકાસ આઘાડીના કેટલાક પક્ષો તેમની સગવડ મુજબ વૉર્ડનું માળખું રચશે તો અમે આ મામલે અદાલતનાં દ્વાર ખખડાવીશું.’
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુંબઈ, પુણે, નાગપુર અને થાણે સહિતનાં અગ્રણી શહેરોમાં સુધરાઈની ચૂંટણીઓ યોજાશે.