બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આ સંદેશાની પુષ્ટિ કરી હતી
બાંદરામાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ખુરસીનો ત્યાગ કરનારા દેવમાણૂસ તરીકે બૅનરમાં દર્શાવવામાં આવ્યા છે. (તસવીર : આશિષ રાજે)
બીએમસીના કમિશનર ઇકબાલ ચહલે મ્યુનિસિપલ અધિકારીઓને નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનાં કોઈ પણ પોસ્ટર કે બૅનર ન હટાવવાનો નિર્દેશ વૉટ્સઍપ પર મેસેજ મોકલીને આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ઇકબાલ ચહલે અધિકારીઓને વૉટ્સઍપ-ગ્રુપમાં મોકલેલા સંદેશામાં જણાવ્યું હતું કે ‘તમામ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (એએમસી), ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વૉર્ડના ઇન્ચાર્જ અસિસ્ટન્ટ કમિશનર્સને જણાવવામાં આવે છે કે માનનીય મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી મારું ધ્યાન દોરવામાં આવ્યું છે કે મુંબઈના અમુક વિસ્તારોમાંથી તેમનાં પોસ્ટર્સ અને બૅનર્સ હટાવવામાં આવી રહ્યાં છે. આ સાથે તમામ સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે બીએમસીના અધિકારક્ષેત્રમાંથી મુખ્ય પ્રધાનનાં કોઈ પણ પોસ્ટર્સ કે બૅનર્સ હટાવવાં નહીં. આ આદેશનું પાલન ફરજિયાત છે અને એમ ન કરનાર સામે આકરાં પગલાં લેવામાં આવશે.’
બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આ સંદેશાની પુષ્ટિ કરી હતી.