આબિદ શેખ (૩૮ વર્ષ)નો મૃતદેહ સવારે ૭.૩૦ વાગ્યે ખડકવાસલા ડૅમ નજીક ખાનાપુર પાસેના જળાશયમાંથી મળી આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ૩૫ વર્ષની મહિલા અને તેના પુત્રની હત્યા કરાયેલી લાશો જુદા-જુદા વિસ્તારોમાંથી મળી આવ્યાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે તેના પતિનો મૃતદેહ ખડકવાસલા ડૅમ નજીકના જળાશયમાંથી શોધી કાઢ્યો હતો. આબિદ શેખ (૩૮ વર્ષ)નો મૃતદેહ સવારે ૭.૩૦ વાગ્યે ખડકવાસલા ડૅમ નજીક ખાનાપુર પાસેના જળાશયમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હોવાનું હવેલી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન નામે જણાવ્યું હતું.
આ અગાઉ આલિયા શેખ (૩૫ વર્ષ) જેજુરી-સાસવદ રોડ પર મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે તેના આઠ વર્ષના પુત્ર અયાનનો મૃતદેહ કાત્રજ વિસ્તારમાંથી મંગળવારે મળી આવ્યો હતો. આ કેસની તપાસ કરવા અને મૃતક મહિલાના પતિના સગડ મેળવવા પોલીસે વિવિધ ટીમો બનાવી હતી. પોલીસ આત્મહત્યા સહિતના તમામ ઍન્ગલ તપાસી રહી છે.
ADVERTISEMENT
પોલીસે અગાઉ જણાવ્યું હતું કે મૃતક મહિલાની ગરદન પર ઈજાનાં નિશાન હતાં, જ્યારે છોકરાનું ગળું રૂંધવામાં આવ્યું હતું. બાળક વિકાસ સંબંધિત ડિસઑર્ડરથી પીડાતો હોવાથી અને સારવાર હેઠળ હોવાથી તે પરિવાર ચિંતિત રહેતો હતો એમ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.