પત્રકારો સાથેની વાતચીતમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું
ચંદ્રકાંત પાટીલ
શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ બીજેપીની હવે મરાઠીઓના મત મેળવવા માટે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) સાથે યુતિ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે આ બાબતે અત્યાર સુધી બીજેપી કે એમએનએસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરાયા નથી. આવા સમયે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે બીજેપી કોઈની પણ સાથે યુતિ કરવાની ઘાઈ નહીં કરે. રાજ ઠાકરેની પાર્ટી સાથે યુતિ કરવા માટે કેન્દ્રના નેતાઓની પરવાનગી લેવી પડશે.
પત્રકારો સાથેની વાતચીતમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે ‘રાજ ઠાકરે મને ગમતા રાજકીય નેતા છે. તેઓ સારું બોલવાની સાથે સાચું બોલે છે. તેમણે મને એક ક્લિપ મોકલી છે, જે મેં સાંભળી. એક-બે દિવસમાં હું રાજ ઠાકરેને મળવાનો છું. મારા મનમાં ચાલી રહેલા સવાલ હું તેમની સામે માંડીશ. તેમની સાથે યુતિ કરીશું તો તેના પડઘા દેશભરમાં પડશે એટલે આ માટે કેન્દ્રના નેતૃત્વની પરવાનગી લેવી પડશે.