૨૬ જૂનના આ વિરોધપ્રદર્શન બાદ પણ સરકાર નહીં સાંભળે તો કોર્ટમાં જવાની પણ તૈયારી હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
પ્રતીકાત્મક તસવીર
ઓબીસીના રાજકીય આરક્ષણને પુન:સ્થાપિત કરવા બીજેપી ૨૬ જૂને રાજ્યભરમાં રસ્તારોકો કરશે. પક્ષના નેતાઓએ ગઈ કાલે મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર પર દબાણ લાવવા માટે મુલાકાત કરી હતી તથા જો એમવીએ સરકાર આ સંદર્ભે કાર્યવાહી ન કરે તો આગામી સ્થાનિક સ્વ-સરકારી ચૂંટણી રોકવાનો તેમ જ એ માટે જરૂર પડે તો કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હોવાનું જણાવતાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મરાઠાઓ તેમના આરક્ષણ, જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયું એ માટે વિરોધ કરી રહ્યા છે એવા સમયે ઓબીસી આંદોલન સડક પર ઊતર્યું છે. બીજેપીએ મરાઠાઓને માત્ર એમવીએ સરકાર સંબંધિત બાબતોમાં ટેકો આપ્યો છે, કેમ કે બીજેપીનું માનવું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરવાને બદલે સુપ્રીમ કોર્ટની અમુક શરતોનું પાલન કર્યા બાદ કાયદો ઘડીને મરાઠા ક્વોટા પુન:સ્થાપિત કરી શકે છે.
ઓબીસીનું સમર્થન કરનારી પાર્ટીઓમાં બીજેપી ઉપરાંત છગન ભુજબળના વડપણ હેઠળની સમતા પરિષદ પણ છે, જેણે ગુરુવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જોકે તે રાજ્ય સરકારની વિરુદ્ધ ન હોવાની સ્પષ્ટતા છગન ભુજબળે કરી હતી.
ADVERTISEMENT
દરમ્યાન ઓબીસી જનમોરચા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ ઓબીસીના પ્રાયોગિક આંકડાઓ એકત્ર કરવા માટે એક કમિશનનું ગઠન કરવું જોઈએ. બીજી બાજુ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથેની મીટિંગ બાદ સંભાજીરાજે છત્રપતિએ હાલ પૂરતું મરાઠા આંદોલન સ્થગિત કરી દીધું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર યાચિકા દાખલ કરવાનું નક્કી કર્યું છે.