મુંબઈના પાલક પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા અસલમ શેખે કહ્યું હતું કે કોવિડના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને જો રાજ્યમાં રોજના ૧૦૦૦ જેટલા કેસ આવવા માંડશે તો ફરી એક વખત નિયંત્રણો લદાઈ શકે છે.
Covid-19
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટે પુણેની બી. જે. મેડકિલ કૉલેજના સહકાર સાથે કરેલી જિનોમ સીક્વન્સિંગ ટેસ્ટમાં પુણેના ચાર દરદી ઓમાઇક્રોન વેરિઅન્ટ બીએ-૪ અને ત્રણ દરદી વેરિઅન્ટ બીએ-૫ના ભરડામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બન્ને વેરિઅન્ટ રાજ્યમાં પહેલી જ વાર જોવા મળ્યા છે. દરમિયાન મુંબઈના પાલક પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા અસલમ શેખે કહ્યું હતું કે કોવિડના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને જો રાજ્યમાં રોજના ૧૦૦૦ જેટલા કેસ આવવા માંડશે તો ફરી એક વખત નિયંત્રણો લદાઈ શકે છે.
આ જે સાત દરદીઓ મળી આવ્યા છે એમાં ચાર પુરુષો અને ત્રણ મહિલા છે. બધા જ દરદીઓ પુણેના છે અને ૪ મેથી ૧૮ મેની વચ્ચેના છે. કુલ સાત દરદીમાંથી ચાર દરદી ૬૦ વર્ષ કરતાં વધુ ઉંમરના છે, જ્યારે બે દરદી ૨૦થી ૪૦ એજ-ગ્રુપના છે. એક દરદીની ઉંમર ૧૦ વર્ષ કરતાં ઓછી છે. બધા જ પુખ્ત વયના દરદીઓએ વૅક્સિનના બંને ડોઝ લીધા હતા. એટલું જ નહીં, તેમણે બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. બધા જ દરદીઓએ ઘરે જ આઇસોલેશનમાં રહીને સારવાર લીધી હતી અને સાજા થઈ ગયા હતા. તેમનાં સૅમ્પલ ૪ મેથી ૧૮ મે વચ્ચે કલેક્ટ કરાયાં હતાં અને ચકાસણી દરમિયાન તેઓ બીએ-૪ અને બીએ-૫ના દરદીઓ હોવાનું જણાઈ આવ્યું હતું.