સચિન વઝેએ તેના લેટરમાં કહ્યું છે કે શરદ પવાર તેની નિમણૂક પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરાય એ માટે નાખુશ હતા, પણ અનિલ દેશમુખે તેને કહ્યું કે જો તું બે કરોડ રૂપિયા આપશે તો તે શરદ પવારને એમ કરવા માટે સમજાવી લેશે
સચિન વઝે
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહે લખેલા લેટરને પગલે મચેલા હોબાળાને કારણે અનિલ દેશમુખે રાજીનામું આપી દેવું પડ્યું છે ત્યારે હવે સચિન વઝેએ એનઆઇએને લેટર લખીને અનિલ દેશમુખ અને પરિવહનપ્રધાન અનિલ પરબ સામે ગંભીર આક્ષેપો કર્યો છે.
સચિન વઝેએ તેના લેટરમાં કહ્યું છે કે શરદ પવાર તેની નિમણૂક પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરાય એ માટે નાખુશ હતા, પણ અનિલ દેશમુખે તેને કહ્યું કે જો તું બે કરોડ રૂપિયા આપશે તો તે શરદ પવારને એમ કરવા માટે સમજાવી લેશે. એથી તેણે કહ્યું કે એટલા બધા રૂપિયા એ આપી શકે તેમ નથી. ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે એ તું પાછળથી આપજે.
ADVERTISEMENT
બીજું, અનિલ દેશમુખે તેની પાસે પહેલાં ઑક્ટોબર મહિનામાં બાર અને રેસ્ટોરાં પાસેથી મહિને ૩થી ૩.૫૦ લાખ રૂપિયા હપ્તો ઉઘરાવવા કહ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે એ નહીં કરી શકે. જોકે એ પછી ફરી અનિલ દેશમુખે જાન્યુઆરી ૨૦૨૧માં તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવીને તેને મુંબઈના ૧૬૫૦ બારમાંથી હપ્તો ઉઘરાવવા કહ્યું હતું. એ મીટિંગ વખતે અનિલ દેશમુખના પીએ કુન્દન પણ ત્યાં હાજર હતા.
પરિવહનપ્રધાન અનિલ પરબ સામે આક્ષેપ કરતાં તેણે પત્રમાં કહ્યું છે કે ‘અનિલ પરબે તેને જુલાઈ-ઑગસ્ટમાં તેમના બંગલા પર બોલાવ્યો હતો અને કહ્યું હતું કે સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટની સામે એક ઇન્કવાયરી ચાલી રહી છે. એ બાબતે તેમની સાથે ભાવતાલ કરી ૫૦ કરોડની ખંડણી માગો.’
એ બાબતે પણ પોતે એ ટ્રસ્ટમાં કોઈને જાણતા નથી અને એ ઇન્કવાયરી સાથે સંકળાયેલા પણ ન હોવાથી એ નહીં કરી શકે એવું ભૂતપૂર્વ ગૃહપ્રધાનને કહ્યું હતું.
વઝેએ એનઆઇએને જે લેટર મોકલ્યો છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે એને માન્ય નહોતો રાખ્યો અને વઝેના વકીલને કહ્યું હતું કે યોગ્ય રીતે એને એક સ્ટેટમેન્ટ તરીકે અથવા કન્ફેશન તરીકે સબમિટ કરો.
વઝેની પૂછપરછ માટે સીબીઆઇએ એનઆઇએ કોર્ટની પરવાનગી માગી
સીબીઆઇએ બુધવારે સ્પેશ્યલ એનઆઇએ કોર્ટનો સંપર્ક કરીને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના મામલે તેની પ્રાથમિક તપાસને પગલે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વઝેની પૂછપરછ કરવાની માગણી કરી હતી.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈસ્થિત નિવાસસ્થાન નજીકથી ૨૫ ફેબ્રુઆરીના રોજ મળેલી વિસ્ફોટકો ભરેલી એસયુવીના કેસ તથા ત્યાર બાદ થાણેસ્થિત બિઝનેસમૅન મનસુખ હિરણના મોતના કેસમાં ૧૩ માર્ચના રોજ વઝેની ધરપકડ કરવામાં આવી હતી.
વઝે હાલ આ કેસની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં છે અને બુધવારે વઝેને સ્પેશ્યલ એનઆઇએ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.
બુધવારે સીબીઆઇએ સ્પેશ્યલ એનઆઇએ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી અને વઝેની પૂછપરછ કરવાની પરવાનગી માગી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના આદેશને પગલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે મંગળવારે મોડી રાતે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી દાખલ કરી હતી.