ટીવી અભિનેતા પર પાંચ વર્ષની છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ છે
પર્લ વી પુરીની ફાઈલ તસવીર
`નાગિન 3` ફૅમ ૩૧ વર્ષીય ટીવી અભિનેતા પર્લ વી પુરી (Pearl V Puri)ને બળાત્કારના કેસમાં ૧૧ દિવસ જેલમાં રહ્યાં બાદ જામીન મળ્યા છે. પીડિત બાળકીના પિતાએ પર્લ પર બળત્કારનો આરોપ મૂકીને વાલિવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વસઈ સેશન કોર્ટમાં આજે એટલે કે મંગળવાર ૧૫ જૂનના રોજ પર્લને જામીન પર છોડવામાં આવ્યો છે.
પાંચ વર્ષની બાળકીના બળાત્કારના આરોપસર ચાર જૂનના રોજ પર્લ વી પુરીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને દાખલ કરેલી જામીન અરજી ૧૧ જૂનના રોજ કોર્ટે ફગાવી દીધી હતી. પોક્સો કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૯નો આ કેસ છે. ટીવી શો `બેપનાહ પ્યાર`ના સેટ પર પીડિતાની માતા તેને લઈને જતી હતી. ત્યારે પર્લે પોતાની વેનિટી વેનમાં બાળકી સાથે દુષકૃત્ય કર્યું હતું. પોલીસને બાળકી સાથે છેડતી થઈ હોવાના પુરાવા મળ્યા છે પરંતુ હજી સુધી અભિનેતા વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા.
તમને જણાવી દઈએ કે, પર્લ વી પુરીએ `નાગિન 3` ઉપરાંત `દિલ કી નજર સે ખૂબસૂરત`, `ફિર ભી ના માને બદતમીઝ દિલ`, `મેરી સાસુ મા`, `નાગાર્જુન એક યૌદ્ધા`, `બ્રહ્મરાક્ષસ 2`માં વગેરે સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો ત્યારે અનેક ટીવી સેલેબ્ઝ તેના સપોર્ટમાં ઉતર્યા હતા અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ શૅર કરી હતી.