ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
થાઇલૅન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપીને મ્યાનમારમાં મુંબઈના ત્રણ નાગરિકોને બંધક બનાવી દેવાયા હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી છે.
ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો. પીડિતોને એજન્ટે થાઇલૅન્ડમાં આઇટી સેક્ટરમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. તેઓ થાઇલૅન્ડમાં ઊતર્યા એ પછી તેમને મ્યાનમાર લઈ જવાયા હતા. ત્યાં તેમને મરજી વિરુદ્ધ ગોંધી રખાયા છે અને સાઇબર ક્રાઇમને લગતું કામ કરવાની ફરજ પડાઈ છે, એમ ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદીના જણાવ્યાનુસાર મુંબઈના ૭૦થી વધુ લોકો મ્યાનમારમાં ફસાયા છે, પણ પોલીસને માત્ર આ ત્રણ વ્યક્તિની જ જાણકારી છે. વિદેશ મંત્રાલયે રવિવારે ભારતીય નાગરિકોને વિદેશી એમ્પ્લોયર્સની વિગતોની ખરાઈ કરવાની સલાહ આપી હતી. મંત્રાલયની ઍડ્વાઇઝરી પ્રમાણે ‘આઇટી-સ્કિલ્ડ યુવાનોને સોશ્યલ મીડિયા ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ અને દુબઈ અને ભારતના એજન્ટ્સ દ્વારા થાઇલૅન્ડમાં આકર્ષક નોકરીના નામે લલચાવાય છે. પીડિતોને ગેરકાયદે સીમાપાર, મોટા ભાગે મ્યાનમાર લઈ જવાય છે અને મુશ્કેલ સ્થિતિમાં બંધક બનાવાય છે.’ મ્યાનમારના ભારતીય દૂતાવાસે તાજેતરમાં જ ૩૦થી વધુ ભારતીયોને બચાવ્યા હતા.