સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ કંબોજે એક સવાલના જવાબમાં સ્પષ્ટ સંભળાવી દીધું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
લોકશાહીના મામલે શું કરવું જોઈએ એની ભારતને કહેવાની કોઈ જ જરૂર નથી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતે ગુરુવારે ડિસેમ્બરના મહિના માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ મહિના દરમ્યાન આતંકવાદ વિરોધી અને જુદા-જુદા દેશોના યોગ્ય પ્રતિનિધિત્વના મામલે સુધારા કરવા માટે અનેક કાર્યક્રમો થશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ કંબોજ અધ્યક્ષની ખુરશી પર બેસશે. ભારતની અધ્યક્ષતાના પહેલા દિવસે તેમણે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મીડિયાને સંબોધન કર્યું હતું, જેમાં ભારતમાં લોકશાહી વિશેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘લોકશાહીના મામલે શું કરવું જોઈએ એ વિશે અમને કહેવાની કોઈ જ જરૂર નથી.’