મંદિર પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી કરવાની વડા પ્રધાન શેખ હસીનાને આપી ચીમકી
ઢાકામાં શુક્રવારની નમાજ બાદ પોલીસ પર પથ્થરમારો કરતી ભીડ.
હબિગંજ (એ.એન.આઇ.) : હિંસા ભડકાવનારાઓ સામે કડક પગલાં ભરવાની બંગલા દેશના વડાપ્રધાનની ચેતવણી પછી પણ ગઈ કાલે હિંસા ચાલુ રહી હતી. બુધવારે ભયંકર હિંસા પછી બંગલા દેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ ગુરુવારે ચેતવણી અને આશ્વાસન આપ્યું હતું કે કોમી હિંસા ભડકાવનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં હબિગંજ જિલ્લામાં દુર્ગાપૂજાના પંડાલ પાસે હિન્દુઓ અને મદરેસાના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક પોલીસ-કર્મચારી સહિત ૨૦ લોકો ઘવાયા હતા.
બુધવારની હિંસા પછી શેખ હસીનાએ એવું નિવેદન આપ્યું હતું કે એ ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવશે અને કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે. ગુનેગાર ગમે તે ધર્મના હશે તેમને પકડીને સજા કરવામાં આવશે.
બુધવારે બંગલા દેશમાં એકસાથે અનેક વિસ્તારોમાં દુર્ગાપૂજાનાં સ્થળો-પંડાલો અને મંદિરોમાં મુસ્લિમ યુવકો ધસી આવ્યા હતા. દુર્ગાપૂજામાં ઇસ્લામ ધર્મનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાની અફવાને પગલે બંગલા દેશના ચાંદપુર, ચિત્તાગોંગ, ગાઝીપુર અને મૌલવી બાઝાર સહિત અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી.