આ દેશની સેન્ટ્રલ બૅન્કે ગઈ કાલે જણાવ્યું હતું કે એની નવી પાંચ ઑસ્ટ્રેલિયન ડૉલરની નોટ પર કિંગ ચાર્લ્સ તૃતીયની ઇમેજના બદલે સ્વદેશી ડિઝાઇન રહેશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કૅનબેરા (એ.પી.) : ભારત અંગ્રેજોની ગુલામીના નિશાનને મિટાવી રહ્યું છે, જેમ કે રાજપથ હવે કર્તવ્યપથ બન્યો છે. હવે ઑસ્ટ્રેલિયા ભારતને અનુસરી રહ્યું હોય એમ જણાય છે. ઑસ્ટ્રેલિયા એની કરન્સી નોટ્સ પરથી બ્રિટિશ રાજાશાહીના નિશાન નાબૂદ કરી રહ્યું છે. આ દેશની સેન્ટ્રલ બૅન્કે ગઈ કાલે જણાવ્યું હતું કે એની નવી પાંચ ઑસ્ટ્રેલિયન ડૉલરની નોટ પર કિંગ ચાર્લ્સ
તૃતીયની ઇમેજના બદલે સ્વદેશી ડિઝાઇન રહેશે. જોકે કૉઇન્સ પર હજી પણ કિંગ જોવા મળશે એવી શક્યતા છે.
ઑસ્ટ્રેલિયામાં માત્ર પાંચ ડૉલરની કરન્સી નોટ પર બ્રિટિશ શાસકની ઇમેજ હતી. બૅન્કે જણાવ્યું હતું કે સરકારની સાથે ખૂબ ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિરોધી પાર્ટીઓએ જણાવ્યું હતું કે આ નિર્ણય રાજકીય પ્રેરિત છે. બૅન્કે જણાવ્યું હતું કે પાંચ ઑસ્ટ્રેલિયન ડૉલરની કરન્સી નોટની બીજી બાજુ સતત ઑસ્ટ્રેલિયન સંસદની ઇમેજ રહેશે.