વાયુ વાવાઝોડાના પગલે 3 લાખ કરતા વધારે લોકોનું સ્થળાંતર, 4 લોકોના મોત
3 લાખ કરતા વધારે લોકોનું સ્થળાંતર
વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના આગામી 50 થી 60 કલાક મહત્વના રહેશે. વાયુ વાવાઝોડના કારણે દરિયાકાંઠાની નજીકના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અનુસાર અત્યાર સુધી ગુજરાતના દરિયા કિનારાના 3,00,000 કરતા પણ વધારે લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરાયા છે જ્યારે વાવાઝોડાની એન્ટ્રી પહેલા જ 4 લોકોના મોત થયા છે. તંત્ર દ્વારા સતત તકેદારીના ભાગરુપે પગલા હાથ ધરાયા છે. આ સાથે જ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડુ હાલ ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 290 કિલોમીટર દૂર છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને વાવાઝોડાના નજીક આવવાની સાથે પવનનું જોર વધે તેમ માનવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણી અને ઉપ મુખ્ય પ્રધાન નિતિન પટેલ સતત વાયુ વાવાઝોડા પર ચાપતી નજર રાખી રહ્યા છે અને કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ સાવચેતીના પગલા હાથ ધરાઈ રહ્યા છે. વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રમાં વેરાવળથી ગુજરાતના દરિયાકાંઠા તરફ વધી રહ્યું છે. વાયુ 13મીએ સવારે 5 વાગ્યાની આસપાસ દીવ, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, ઉના, તલાલા જેવા વિસ્તારો પર ત્રાટકશે. આ સિવાય માંગરોળ, માળિયા જેવા વિસ્તારોમાં પણ વાયુ ત્રાટકશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને હવાઈ વ્યવહાર ઠપ
આ વાવાઝોડાની અસર દીવના દરિયામાં પણ દેખાઈ રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનની અસરથી દીવના દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. તો પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે.